કોરોનાના 2 વર્ષ બાદ જાહેર નવરાત્રિ થતાં લોકોમાં ભારે ઉત્સાહ
કોરોનાના કારણે 2 વર્ષના અંતરાલ બાદ ડીસામાં નવરાત્રિ મહોત્સવને લઇને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
સોમવારથી શરૂ થઇ રહેલા પાવન પર્વ નવરાત્રિમાં ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા ભારે થનગનાટ અનુભવી રહ્યા છે.
કોરોના સંક્રમણના કારણે એક જ સ્થળે મોટી માત્રામાં લોકો એકત્ર ન થાય તે માટે છેલ્લા 2 વર્ષથી નવરાત્રિ પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું અને માતાજીની 2 વર્ષ સાદગીપૂર્વક આરાધના અને ઉપાસના કરી ધન્યતા અનુભવી હતી.
પરંતુ આસો નવરાત્રિમાં ગરબાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. જેના પગલે વિવિધ પાર્ટી પ્લોટ અને મોટા ગરબાના આયોજનો દ્વારા પણ ગરબાનું આયોજન કરાવતા હોય છે.
છેલ્લા 2 વર્ષથી કોરોના સંકટના કારણે જાહેર નવરાત્રિના આયોજનો ઉપર રોક લાગી હતી. પરંતુ હવે કોરોના સંક્રમણનું સંકટ ટળી જતાં જાહેર નવરાત્રિના ગરબાના આયોજનોને છૂટ આપવામાં આવી છે.
જેના પગલે ડીસામાં પોલીસ લાઇન, લાલચાલી, સિંધી કોલોની, મારુતિ પાર્ક, નવજીવન સોસાયટી સહીત લગભગ 50 જાહેર સ્થળોએ ગરબાના આયોજકો દ્વારા નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.
ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં મંડપ, લાઇટીંગ સહીત સાઉન્ડ સીસ્ટમ થકી સજાવટ કરાઇ છે. ત્યારે બીજી તરફ ખેલૈયાઓમાં પણ ગરબે ઘૂમવા ભારે થનગનાટ થઇ રહ્યો છે.
From-Banaskantha update