આ વર્ષે સારા વરસાદના કારણે વેડફાઇ જતાં કરોડો લીટર પાણીને અટકાવ્યું છે : પાણીના તળ ઉંચા લાવવાનો પ્રયાસ
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો 3 વર્ષથી પાણીની કિલ્લતનો સામનો કરતાં હવે પાણી બાબતે જાગૃત થઇ રહ્યા છે. આ વર્ષે 2500 થી પણ વધુ ખેડૂતોએ ચોમાસામાં વહી જતાં વરસાદી પાણીના એક એક ટીપાનો બચાવ કરી બંધ પડેલા બોરમાં જળ સંચય કર્યું છે અને કરોડો લીટર પાણીનો ફરી પેટાળમાં સંગ્રહ કર્યો છે.
રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જીલ્લામાં દર વર્ષે પાણીની સમસ્યા ગંભીર પ્રશ્ન બની જાય છે. 3 વર્ષથી સતત ઓછા વરસાદના કારણે પાણીના તળ 1,000 ફૂટ જેટલા ઉંડા પહોંચી ગયા હતા.
જેથી ખેડૂતોને સિંચાઇ માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ સમસ્યામાંથી પસાર થતાં કેટલાંય ખેડૂતો હવે જાગૃત બની ગયા છે. પાણી બચાવવા માટે ખેડૂત અગ્રણી અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ
પ્રવિણભાઇ માળીએ પણ જળ સંચય અભિયાન હાથ ધર્યું હતું. જેમાં તેમણે અનેક ખેડૂતો સાથે બેઠકો યોજી ચોમાસામાં વહી જતાં પાણીનો ફરીથી પેટાળમાં સંગ્રહ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
તે પછી એક બાદ એક એમ 2500 જેટલાં ખેડૂતોએ ચોમાસામાં વહી જતાં પાણીને પોતાના ખેતરમાં બંધ પડેલા બોરમાં સંગ્રહ કરવાનું આયોજન કર્યું હતું.
આ અભિયાન અંતર્ગત આ વર્ષે સારા વરસાદના કારણે વેડફાઇ જતાં કરોડો લીટર પાણીને અટકાવ્યું છે અને ખેડૂતોએ વરસાદી પાણીને ફરી બંધ પડેલા બોરમાં ઉતારી જળ સંચય કર્યું હતું.
આ જળ સંચાલનના પ્રણેતા પ્રવિણભાઇ માળીનું માનવું છે કે, ‘અત્યારે જે રીતે ચોમાસામાં વહી જતાં પાણીને બંધ પડેલા બોરમાં નાખીને રીચાર્જ કરવાનો પ્રયાસ કરીએ છીએ એના થકી આવનાર સમયમાં 1,000 ફૂટ ઉંડે પહોંચી ગયેલું પાણી ફરી 300 ફૂટ લાવવાનો તેમનો પ્રયાસ છે.’
From-Banaskantha update