ખેતરોમાં ચારેકોર મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ પથરાયેલો હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં પગ મૂકી શકે તેમ નથી
થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળુ ખેડૂતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ચોમાસુ અને બાગાયતી ખેતીમાં ઢીંચણસમું પાણી ભરાતાં પાક નિષ્ફળ જવા પામ્યો છે.
નર્મદા વિભાગ દ્વારા મુખ્ય નહેરથી પૂર્વ દિશાથી-પશ્ચિમ દિશા તરફ પાણીના નિકાલ અર્થે નાળુ બનાવી ખેડૂતોની સીમ ખેત તલાવડી સુધી ઢાળવી દેતાં ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ નહીં જળવાતાં તે
ઓવરફ્લો થઇને આજુબાજુમાં આવેલા પાટડીયા અને ગગાસરી નામથી ઓળખાતી સીમના ખેતરોમાં પાણીનો પ્રવાહ ગયો છે. જેના લીધે લગભગ 30 જેટલાં ખેડૂતોના 100 એકરથી વધુની ખેતીની જમીનમાં
પાણી ભરાઇ જવા પામ્યું છે. જેમાં બાગાયતી અને ચોમાસુ વાવેતર કરેલી બાજરી, જુવાર, મગફળી, ગવાર, એરંડા અને પશુઓને ઘાસચારા માટેની રજકા બાજરી સહીત દાડમ જેવો પાક પાણીમાં ગરકાવ
થઇ જવા પામતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
ખેડૂતો પોતાના ખેતરોમાં રહેણાંક બનાવી પશુઓ સાથે વસવાટ કરી રહ્યા છે. જેમાં ઉભા પાકમાં ઢીંચણસમા પાણીનો સંગ્રહ રહેતાં દુર્ગંધ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની દહેશત વચ્ચે
રહેવું તે ખેડૂત પરિવારો માટે મુશ્કેલ બની જવા પામ્યું છે. ખેતરોમાં ચારેકોર મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ પથરાયેલો હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં પગ મૂકી શકે તેમ નથી. જેથી પશુઓ સહીત ખેડૂત
પરિવારો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આથી નર્મદા વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સત્વરે આવા સીમ ખેતરોની મુલાકાત લઇ નાળાના પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
From-Banaskantha update