ડીસામાં શનિવારે મળેલી બિનવારસી લાશની ગઈકાલે રવિવારે અંતિમ વિધિ કરાવવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરાવ્યા બાદ બિનવારસી લાશની શાસ્ત્રોકત વિધિ અનુસાર અંતિમ વિધિ કરી હતી.
ડીસામાં માર્કેટયાર્ડ સામેથી એક અજાણ્યા આધેડની બિનવાસી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને લાશને પી.એમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પાલનપુર તાલુકાના વાસણી ગામનો માલસિંહજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારજનો સંપર્ક કરતાં તેમણે કોઈ રસ દાખવ્યો ન હતો. બાદમાં ગઈકાલે પોલીસે હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી લાશની અંતિમ વિધિ કરાવી હતી.
From – Banaskantha Update