સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વાનખેડેએ આ મામલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ઓફિસર સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આ અંગે સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમીર વાનખેડેએ પોલીસને જણાવ્યું છે કે તેને ટ્વિટર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેને 14 ઓગસ્ટે નવા બનાવેલા ટ્વિટર એકાઉન્ટથી ધમકી આપવામાં આવી હતી. ટ્વીટમાં કહ્યું- તમે નથી જાણતા કે તમે શું કર્યું, તમારે હિસાબ આપવો પડશે. અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે અમે તમને ખતમ કરી દઈશું.
તાજેતરમાં ક્લીનચીટ મળી છે
સમીર વાનખેડે આર્યન ખાન ડ્રગ કેસ બાદ ચર્ચામાં આવ્યો હતો. આ પછી NCP નેતા નવાબ મલિકે તેમના પર ઘણા આરોપો લગાવ્યા. એક આરોપમાં મલિકે કહ્યું હતું કે વાનખેડે જન્મથી મુસ્લિમ છે, તેમણે અનામતનો લાભ મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હતું. જો કે આ કેસમાં વાનખેડેને ક્લીનચીટ મળી છે.