વડગામના રજોસણા ગામે આવેલ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિકો અટવાયા હતા. તેમજ સોસાયટીના 16 જેટલા બાળકો બીમાર થતા મહિલાઓએ ગ્રામ પંચાયત વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે. રજોસણા ગામમાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં 200થી વધુ મકાન આવેલા છે. જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીઓના રહીશો અટવાયા હતા જેને લઈ હોબાળો મચાવ્યો હતો.
આ બાબતે સોસાયટીની મહિલાઓ તેમજ સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સોસાયટીના તમામ લોકો ગ્રામ પંચાયતના સમય સર વેરા ભરીએ છીએ તેમ છતાં અમારા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે કાદવમાંથી પસાર થવું પડે છે.
અનેકવાર પંચાયતને લેખિત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જોવા પણ આવતું નથી. સોસાયટીમાં પાણી ભરાઈ રહેવાના કારણે 16થી વધુ બાળકો બીમાર પડ્યા છે. પંચાયત સોસાયટીની મુલાકાત કરે અને વરસાદી પાણીની યોગ્ય નિકાલ કરે તેવી માંગ કરી આરોગ્ય વિભાગ પણ સોસાયટીની મુલાકાત કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
From – Banaskantha Update