લાખણી તાલુકાના ગેળામાં બજરંગ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવાતી ગૌશાળામાં બુધવારે બનાસકાંઠાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઇ હતી.
જેમાં સરકારે બજેટમાં રૂ. 500 કરોડની જોગવાઇ કરી આભાર પ્રસ્તાવ કર્યો હતો અને હવે ગૌચરની જમીનો ખુલ્લી કરાવે તેવી માંગણી દોહરાવી હતી.
લાખણી તાલુકાના ગેળામાં આવેલ ગૌશાળામાં બનાસકાંઠાની અંદાજે 180 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, સંતો-મહંતો અને ગૌભક્તોની બેઠક બુધવારે યોજાઇ હતી.
જેમાં વર્તમાન ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં ગૌવંશ માટે ફાળવવામાં આવેલી રૂ. 500 કરોડની ગ્રાન્ટ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે સાથે ડીસાના વતની અને સાચા સેવાભાવી ગૌભક્ત ભરતભાઇ કોઠારીના અવસાનને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોઇ તેઓને અને ગેળા ગૌશાળા આદ્યસ્થાપક કલ્યાણ બાપુને પણ શ્રદ્વાંજલિ અર્પણ કરાઇ હતી.
સંચાલકો દ્વારા સરકાર દ્વારા ગૌશાળાના નિભાવ માટે કરવામાં આવેલી જોગવાઇની સાથે-સાથે ગામોગામ ગૌચરની જમીનમાં જ્યાં પણ દબાણો થયેલા છે અથવા કોઇ અન્ય રીતે જમીન રોકાયેલી છે તે પણ ખુલ્લી કરવામાં આવે અને
ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ગાયો માટે જે ગ્રાન્ટ સરકાર ફાળવે છે તે પ્રમાણે ગુજરાત સરકાર પણ જો ગ્રાન્ટ ફાળવે તો ગાયોનો નિભાવ સારી રીતે થઇ શકે તેવી લાગણી પણ વ્યક્ત કરાઇ હતી.
આ પ્રસંગે આસોદર મઠના મહંત રેવાપુરી બાપુ, આજુબાજુ ગામોના મહંતો, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી ગંગારામભાઇ પોપટ, કથાકાર અને શાસ્ત્રી કિશોરભાઇ દવે સહીત મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
From-Banaskantha update