“આપણી બેંક બનાસ બેંક”ના જનરલ મેનેજર અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરીના ભાણેજ અશોક ચૌધરીને ભરતી કૌભાંડ સહિતમાં સંડોવણી બહાર આવી છે. જેથી બનાસ બેંકની વહીવટી કમિટીએ અશોક ચૌધરીની હકાલપટ્ટી કરતાં ચહલ પહલ વ્યાપી જવા પામી હતી.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન તેમજ બનાસ બેંકના તત્કાલીન ચેરમેન શંકર ચૌધરીના એક હથ્થુ શાસન અને સગાવાદ તેમજ પરીવારવાદ ઉભો કરીને બનાસ ડેરી તેમજ બનાસ બેંકમાં બોગસ ભરતીઓ કરી જીલ્લા બહારના ઉમેદવારોને પણ પોતાના હિત માટે નોકરીઓની લ્હાણી કરી હોવાની જીલ્લા ભરમાં બૂમરાડ ઉઠવા પામી હતી.
બનાસ બેંકમાં પણ શંકર ચૌધરીએ પોતાના ભાણેજને જનરલ મેનેજર તરીકે બેસાડી એકહથ્થુ શાસન ચલાવતા સહકારી આગેવાનો સહિત કર્મચારીઓમાં પણ કચવાટ ઉભો થયો હતો તેમજ તાજેતરમાં જ યોજાયેલી બનાસ બેંકની ચૂંટણી અગાઉ જ બોગસ ભરતી કરવામાં આવી હતી. જેથી બનાસકાંઠા જીલ્લાના કેટલાંક આગેવાનો અને ખેડૂતોએ બનાસ બેંકમાં ખોટી ભરતી થઈ હોવા અંગે અવાજ ઉઠાવ્યો હતો.
આથી બનાસ બેંકના તત્કાલીન ચેરમેન એમ.એલ.ચૌધરીએ ભરતી અંગે ન્યાયિક તપાસ કરવા માટે તપાસ કમીટીની રચના કરવામાં આવી હતી. જેથી તપાસ કમીટીની તપાસ બાદ 40 જેટલાં અધિકારી-કર્મચારીઓની બોગસ ભરતી થઈ હોવાનું બહાર આવ્યું હતું તેમજ શંકર ચૌધરીના ભાણેજ અને બનાસ બેંકના જનરલ મેનેજર અશોક ચૌધરીની પણ બોગસ ડીગ્રી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સોમવારે બનાસ બેંકની વહીવટી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બોગસ ભરતી પર રોક લગાવી દેવામાં આવી હતી તેમજ બનાસ બેંકના જનરલ મેનેજર અશોક ચૌધરીને પોતાના હોદ્દા પરથી કાયમ માટે બરતરફ (હકાલપટ્ટી) કરવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે.
From – Banaskantha Update