બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાણીના નાળા મામલે વિવાદ સર્જાયો હતો. વોર્ડ નં. 7 માં સુખબાગ રોડ નજીક આવેલું વરસાદી પાણીનું નાળુ સ્થાનિક બિલ્ડરો દ્વારા ગુમ કરી દીધું હોવાના આક્ષેપો સાથે ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નગર સેવકો સહીત સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો.
જેમાં વરસાદી પાણીનું નાળુ ખુલ્લું નહીં કરાય તો ભૂખ હડતાળની ચિમકી પણ ઉચ્ચારી હતી. સમગ્ર ઘટનાને પગલે ઘોર નિંદ્રામાં સૂતું નગરપાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું અને ઉપવાસ આંદોલન થાય તે પહેલાં જ રાતોરાત પાણીનું નાળુ ખોલવાની તજવીજ હાથ ધરી હતી.
પાલનપુરના વોર્ડ નં. 7 માં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીનું નાળુ સુખબાગ રોડ નજીક આવેલું છે. જે સીધુ લડબી નદી સાથે જોડાય છે.
સ્થાનિકો અને ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નગર સેવકોએ એકઠા થઇ સ્થાનિક બિલ્ડરોએ નાળુ ગુમ કર્યાં હોવાના આક્ષેપો સાથે હંગામો મચાવી આ નાળુ ખુલ્લું કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.
જ્યારે જો નાળુ ખુલ્લું કરવામાં નહી આવે તો વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર સહીત સ્થાનિકો ઉપવાસ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
જો કે, સમગ્ર ઘટનાને પગલે સફાળી જાગેલી નગરપાલિકાએ વિપક્ષ નેતા અને સ્થાનિકોની ચિમકીને ધ્યાને લઇ રાતોરાત આ નાળાને ખુલ્લું કરવાની કામગીરી હાથ ધરી છે.
From-Banaskantha update