ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગઈકાલે ગુજરાતનું વર્ષ 2022નું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે સરકારના બજેટને બનાસકાંઠાના ખેડૂતોએ ખેડૂત વિરોધી ગણાવ્યું છે. પાલનપુર, અમીરગઢ, દાંતા, દાંતીવાડા સહીતના તાલુકાના ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગણી કરી હતી. જે માટે જળાશયોમાં પાણી નાખવાની માંગણી કરાઈ હતી. પરંતુ બજેટમાં કોઈ જોગવાઈ ન થતાં અંતે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
બનાસકાંઠાના ખેડૂતોએ સરકારના બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા દાતા સહીતના તાલુકાના જળાશયો ભરવાની તેઓની માંગણી કરી હતી. જે માટે અગાઉ પણ ખેડૂતોએ રેલી યોજી અને વડગામ તાલુકાનું કરમાવદ તળાવ, મલાણાનું મલાણા તળાવ ભરવાની માંગણી કરી હતી. ત્યારે ખેડૂતોને આશા હતી કે સરકાર બજેટમાં કોઈ યોજના જાહેર કરશે, પરંતુ આ બજેટમાં કોઈ યોજના જાહેર ન થઈ હતી. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ખેડૂતોએ સરકારને આંદોલન કરી વિરોધ નોંધાવવાની તેમજ વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે ખેડૂત માવજી પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારીત જિલ્લો છે. જ્યા 20 ટકા વિસ્તારમાં નર્મદાનું પાણી આવે છે. જ્યારે 80 ટકા વિસ્તારમાં નર્મદાનું પાણી આવતું નથી. ત્યારે આ વખતે બજેટમાં આશા હતી કે, પાલનપુર, વડગામ માટે પાણીને લઈને જાહેરાત થાય અને મલાણા, કરમાવત તળાવની જોગવાઈ થાઈ પરંતુ આ બજેટમાં આ વિશે કોઈ જોગવાઈ થઈ નથી.
વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે. એશિયામાં સૌથી વધુ પશુપાલન બનાસકાંઠામાં છે. હવે પશુઓને ખવડાવવા માટે ચારો પણ ખૂબ મોંઘો છે પોસાતો નથી. જેથી હવે પશુ રાખવા પણ મુશ્કેલ છે અને ખેતી કરવી પણ મુશ્કેલ છે. ગામડાઓ બેરોજગારીથી ઈજરતી કરવા મજબુર બની રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં અહીંયા પાણીની સમસ્યાનું હલ નહીં થાય તો ખેડૂતો મુશ્કેલીમાં આવશે. જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનો અને ખૂબ મોટા કાર્યક્રમો થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે ખેડૂત પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે. જેમાં બનાસકાંઠાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ સહિતના તાલુકાઓમાં માટે પાણીની કોઈ જોગવાઈ કરી નથી. અમને એવું હતું કે, સરકાર આ બજેટમાં પાણીની જોગવાઈ કરશે. પરંતુ પાણીની જોગવાઈ કરી નથી. બનાસકાંઠાના તાલુકાઓ પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમાં પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે. અહીંયા દૂધનો ધંધો મુખ્ય છે. અહિંના લોકો પશુપાલનના ધંધા પર ટકેલા છે. પાલનપુર તાલુકાનું મલાણા અને કરમાવત તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટા ઉગ્ર આંદોલન થશે અને ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
From – Banaskantha Update