કાંકરેજ તાલુકાના થરા આંબલીવાસ નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હીટ એન્ડ રનમાં સોમવારે રાત્રે બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઇ જતાં બાઇક સવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યાારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
કાંકરેજ તાલુકાના ખારીયા ગામના શક્તિસિંહ વાઘેલા (ઉં.વ.આ. 18) થરામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જ્યારે સોમવારે રાત્રે પોતાનું મોટર સાઇકલ નં. GJ-08-BJ-8474 લઇ ઘરે પરત આવી રહ્યો હતો.
ત્યારે થરા આંબલીવાસ નજીક આવતાં એક અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન હંકારતાં બાઇક સવારને ધડાકાભેર ટક્કર મારતાં બાઇક સવાર રોડ પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
જ્યારે સ્થાનિક લોકોએ તાત્કાલીક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરા રેફરલમાં ખસેડી હતી.જ્યારે યુવકનું મોત નિપજતાં પરિવારજનોમાં કાલીમા પ્રસરી ગઇ છે.
જ્યારે મહા શિવરાત્રિના પર્વ દિવસે ખારીયા ગામમાં યુવકનું મોત થતાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. આ અંગે થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકને ઝડપી ક્વાયત હાથ ધરી છે.
From-Banaskantha update