ગુજરાતમાં સૌથી મોટું કોલસા કૌભાંડ : 60 લાખ ટન કોલસાનું રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું

- Advertisement -
Share

 

કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નામાંકીત કરાયેલી એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યોના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઇ લે છે.

 

 

છેલ્લા 14 વર્ષથી આ રીતે આવતો કોલસો આ એજન્સીઓએ કાળા બજારીમાં વેચી દઈ રૂ. 6 હજાર કરોડ સુધીનું કૌભાંડ આચર્યું છે. સરકારી વિભાગના એ તમામ અધિકારીઓ, કોલસા ટ્રાન્સપોર્ટ ચેઈન સાથે સંકળાયેલા પદાધિકારીઓ પાસે જ્યારે કોલસો ગાયબ થવાની હકીકત જાણવા પ્રયાસ કર્યો તો દરેકે આ મુદ્દે ‘નો કોમેન્ટ્સ’ કહીને મૌન સાધી લીધું છે.

 

 

દસ્તાવેજો અનુસાર અત્યાર સુધી કોલ ઈન્ડિયાની ખાણોમાંથી ગુજરાતના વેપારીઓ માટે 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો હતો.

 

 

પ્રતિ ટન સરેરાશ રૂ.3,000 ના ભાવના હિસાબે એની કિંમત રૂ.1800 કરોડ થવા જાય છે. જો કે, કોલસાનો આ જથ્થો લાભાર્થી નાના વેપારી અને લઘુ ઉદ્યોગોને વેચવાને બદલે રૂ. 8 થી 10 હજાર પ્રતિ ટનના ભાવે વેચી દેવામાં આવે છે.

 

 

ડમી નામથી ચાલતી અથવા જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાંક અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા છે.

 

 

જો સાવ સંકુચિત અંદાજ લગાવીએ તો આ કોલસાના કાળા કારોબાર પાછળ અત્યાર સુધીમાં રૂ. 6 હજાર કરોડ સુધીનું કૌભાંડ થયું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સચિવ અનિલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નીમેલી એજન્સીઓ(એસ.એન.એ.)ને કોલસો અપાઇ જાય પછી અમારી ભૂમિકા પૂરી થઇ જાય છે.

 

આ અંગે કોલ ઇન્ડિયાના ડીરેક્ટર સત્યેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે, એજન્સીઓની નિમણૂંક કરવી એ જે-તે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની જવાબદારી છે.

 

આ અંગે કોઇપણ બાબત ધ્યાનમાં આવી હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ધ્યાન દોરવું જોઇએ. જેમાં જે કોઇ પણ પૂરાવા હોય એ પણ સામેલ કરવા જોઇએ. રાજ્ય સરકારનો ગૃહ વિભાગ અમને જે માહિતી આપશે એના આધારે સબંધિત કોલસા કંપની જરૂરી પગલાં ભરીશું.

 

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ તરફથી કોલ ઈન્ડિયાને રાજ્યના લઘુ ઉદ્યોગો માટે દર વર્ષે જરૂરી કોલસાના જથ્થા સહીતની વિગતો સાથે એક યાદી મોકલવામાં આવે છે.

 

આ યાદીની સાથે સ્ટેટ નોમિનેટેડ એજન્સી (એસ.એન.એ.) ની યાદી પણ મોકલવામાં આવે છે. એસ.એન.એ.નો અર્થ છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એ એજન્સી જે રાજ્ય સરકાર તરફથી કોલ ઈન્ડિયા પાસેથી કોલસો લઈને રાજ્યના લાભાર્થી લઘુ ઉદ્યોગો-નાના વેપારીઓ સુધી પહોંચાડવા માટે અધિકૃત છે.

 

હા, આ કામના બદલામાં તે માત્ર ટ્રાન્સપોર્ટ અને કોલસાની કિંમતના 5 ટકાના હીસાબે સર્વિસ ટેક્સ વસૂલી શકે છે. ત્યાર પછી જ આ કોલસાના જથ્થામાંથી તે લઘુ ઉદ્યોગો અને નાના વેપારીઓ જેમની જરૂરીયાત વાર્ષિક 4200 ટન અથવા એનાથી પણ ઓછી છે. તેને બજાર ભાવથી ઓછા દરે કોલસો ઉપલબ્ધ કરાવવાનો હોય છે.

 

– કાઠીયાવાડ કોલ કોક કન્ઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસીયેશન (અમદાવાદ)
– ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસીયેશન (અમદાવાદ)

– સૌરાષ્ટ્ર બ્રિક્વેટિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશન (અમદાવાદ)
– સાઉથ ગુજરાત ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ (‌વાપી)

 

ગુજરાત સરકાર દ્વારા નીમવામાં આવેલી એજન્સી ‘ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસીયેશન’ના સંચાલક અલી હસનૈન ડોસાણીએ જણાવ્યું હતું કે, અમે અમારા મોટા ભાગનો કોલસો દક્ષિણ ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને આપીએ છીએ.

 

આથી દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસીયેશનના જીતેન્દ્ર વખારીયાનો સંપર્ક કર્યો હતો. જીતેન્દ્ર વખારીયાએ કહ્યું હતું કે ‘હું 45 વર્ષથી આ ધંધામાં છું. અમને આજ સુધી આવી યોજના અંતર્ગત ક્યારેય પણ કોઈપણ પ્રકારનો કોલસો મળ્યો નથી.’

 

શિહોરના ઉદ્યોગ જય જગદીશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝને લાભાર્થી દર્શાવાયા છે. જય જગદીશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના જગદીશ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘મને તો એ પણ ખબર નથી કે અમને સરકાર તરફથી કોઈ કોલસો પ્રાપ્ત થાય છે.

 

આ બાબતે અત્યાર સુધી અમારો કોઈ સંપર્ક પણ સાધવામાં આવ્યો નથી. અમે તો સ્થાનિક બજારમાંથી જ કોલસો ખરીદીએ છીએ.’ એ એન્ડ એફ ડીહાઈડ્રેટીસ ફૂડ્સના શાનુ બદામીએ કહ્યું હતું કે ‘આવા કોઈ કોલસાનો જથ્થો અમને હજુ સુધી ક્યારેય મળ્યો નથી.

 

અમે મોટા ભાગની જરૂરીયાતનો કોલસો જી.એમ.ડી.સી.ની ખાણોમાંથી ખરીદીએ છીએ અથવા આયાતી કોલસો જ ખરીદીએ છીએ. હવે કોલસો અમને મોંઘો પડે છે.

 

ભારત સરકારે વર્ષ 2007 માં દેશભરમાં લઘુ ઉદ્યોગોને સસ્તા દરે સારી ગુણવત્તા ધરાવતો કોલસો ઉપલબ્ધ કરાવવાની નીતિ બનાવી હતી. બીજા જ વર્ષ 2008 માં એને લાગુ પણ કરી દેવાઈ હતી. આ નીતિ અંતર્ગત ગુજરાતના લઘુ ઉદ્યોગોના લાભાર્થે કોલ ઈન્ડિયાના માધ્યમથી કોલસો લાવવામાં આવે છે.

 

જેના માટે દર મહીને ઓર્ડરના હીસાબે કોલસાનો જથ્થો કોલ ઈન્ડિયાના વેસ્ટ કોલ ફીલ્ડ અને સાઉથ-ઇસ્ટ કોલ ફીલ્ડમાંથી કાઢીને રવાના કરવામાં આવે છે.

 

રસપ્રદ વાત એ છે કે, ગુજરાત સરકારે કોલસાના લાભાર્થી ઉદ્યોગોની યાદી, તેના માટે જરૂરી કોલસાનો જથ્થો, કઈ એજન્સીના માધ્યમથી પ્રાપ્ત કરાશે.

 

આ અને એવી તમામ માહિતી કોલ ઈન્ડિયાને મોકલવાની હોય છે. પરંતુ તપાસમાં કોલ ઈન્ડિયાને મોકલવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી જોવા મળી છે.રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી એજન્સીનું સ્ટેટસ સ્થળ તપાસ કરતાં આ તથ્યો સામે આવ્યા હતા.

 

કાઠીયાવાડ કોલ કોક કન્ઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસીયેશન : આ એજન્સીએ પોતાની રજીસ્ટર્ડ ઓફીસનું સરનામું સી.જી. રોડ ખાતેના એક ખાનગી કોમ્પ્લેક્સમાં જણાવ્યું છે.

 

સત્ય એ છે કે આપવામાં આવેલા સરનામા પર અત્યારે એક સી.એ.ની ઓફીસ છે. જે છેલ્લા 4 વર્ષથી ચાલે છે. આ અગાઉ આ કોમ્પ્લેક્સ બન્યું એની પહેલાં અહીં કોઈ મેગેઝીનની ઓફીસ હતી.

 

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, કોલસાના વેપાર સાથે સંકળાયેલી કોઈ સંસ્થા-ફર્મ-કંપનીની ઓફીસ આ કચેરી જ નહીં. પરંતુ આ સમગ્ર કોમ્પ્લેક્સમાં પણ ક્યાંય ન હતી.

 

ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસીયેશન : આ એજન્સીએ પોતાની ઓફીસનું સરનામું અમદાવાદનો એલિસબ્રિજ વિસ્તાર જણાવ્યો છે.

 

અમે ત્યાં જઈને તપાસ કરી તો આ સ્થાને કોલસાના વેપાર સાથે સંબધિત એક વ્યાપારી એજન્સી ‘બ્લેક ડાયમંડ’ કાર્યરત છે. આ એજન્સીના માલિક હસનૈન અલી ડોસાણીએ કહ્યું હતું કે, અમે કોલસાનો સંપૂર્ણ જથ્થો દ.ગુજરાતના વેપારીઓને વેચીએ છીએ.

 

સૌરાષ્ટ્ર બ્રિકવેટિંગ : ત્રીજી એજન્સીનું સરનામું સી.જી. રોડમાં બતાવાયું છે અને ત્યાં જઈને જ્યારે અમે તપાસ કરી તો અહીં કોઈ ટ્રાવેલ એજન્સી કામ કરી રહી છે.

 

‘કોલ ઈન્ડિયા’માં ટોચના પદ પર રહી ચૂકેલા એક અધિકારીએ કહ્યું, ‘ગુજરાતમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત સરકારે તો ખરેખર કોલ ઈન્ડિયાને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાની હોય છે.

 

પરંતુ ગુજરાત સરકાર આ બાબતે પણ ગોલમાલ આચરતી રહી છે. સાચી માહિતી-વર્ણન હોવા છતાં ગોલમાળ માહિતી ઉપલબ્ધ કરાવાય છે.’

 

ગુજરાત સરકાર : કોલ ઈન્ડિયાની વેબસાઈટ પર કોલસાનું વિતરણ-પુરવઠામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સાચી-પ્રમાણિત માહિતી આપવાની રહે છે.

 

બીજા રાજ્યોમાં આવા કોલસાને લાવવાનું કામ સબંધિત રાજ્ય પોતાના જ કોઈ એક વિભાગને સોંપે છે. જ્યારે ગુજરાતમાં વર્ષોથી કેટલીક પસંદ કરેલી એજન્સીઓની જ નિમણૂંક કરાઈ છે.

 

આટલું જ નહીં કોલ ઈન્ડિયાની વેબસાઈટ પર અન્ય રાજ્યોએ નાણાંકીય વર્ષના હીસાબે કોલસાના જથ્થા, સબંધિત એજન્સી/કચેરીનું આખું નામ, ટેલિફોન નંબર, ઈ-મેલ એડ્રેસની માહીતી આપી છે.

 

જ્યારે ગુજરાત સરકારે થોડાં વર્ષ તો માહિતીના વિભાગમાં એજન્સીના નામવાળી કોલમમાં એ.બી.સી.ડી., એ.એસ.ડી.એફ, 999999999 લખીને પોતાની ફરજ પૂરી હોવાનું દર્શાવ્યું છે. એટલે ગુજરાત સરકારના કેટલાંક અધિકારીઓની પણ આ ગોટાળામાં સાઠગાંઠ અને સંડોવણી છે.

 

એજન્સીઓ દર વર્ષે ગુજરાતના લાભાર્થી ઉદ્યોગોના નામથી કોલસાનો જથ્થો કોલ ઈન્ડિયા પાસેથી ખરીદે તો છે. પરંતુ એને લાભાર્થીઓને આપવાને બદલે ખુલ્લા બજારમાં ઉંચા ભાવે વેચી અબજો રૂપિયાની કમાણી ઓહીયા કરી ગયા છે.

 

આ ખેલ માટે આ એજન્સીઓએ નકલી બીલ બનાવી ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ અને જી.એસ.ટી.માં પણ ચોરી કરાઈ હોવાની સંભાવના છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!