મુંબઇથી શંખેશ્વરમાં દર્શનાર્થે આવતાં જૈન પરિવારની કાર રવિવારે સાંજે શંખેશ્વરના પંચાસર હાઇવે પર ઝાડ સાથે અથડાતાં કારમાં બેઠેલા 5 સભ્યોને ઇજાઓ થઇ હતી. 2 સભ્યોને ગંભીર ઇજા હોઇ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 સભ્યોને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, મુંબઇથી જૈન પરિવાર અર્ટીકા ગાડીમાં શંખેશ્વરમાં પ્રભુ પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે આવી રહ્યો હતો.
ત્યારે રવિવારે સાંજે શંખેશ્વરના પંચાસર નજીક ખારવા હાઇવેની સાઇડમાં કાર નં. MH-04-GM-7940 લીમડાના ઝાડ સાથે અથડાતાં કારમાં સવાર 5 સભ્યોને ઇજાઓ થઇ હતી.
આજુબાજુના રાહદારીઓએ 108 વાનને જાણ કરીને ઇજાગ્રસ્તોને શંખેશ્વર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં રીફર કર્યાં હતા. જેમાં પ્રજ્ઞાબેન જૈન અને જયંતિભાઇ જૈન ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય 3 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ અંગે જયકુમાર અશોકભાઇ ગડા (જૈન) એ શંખેશ્વર પોલીસને જાણ કરી હતી.
આ અંગે તપાસ અધિકારી પી.એસ.આઇ. એસ.બી.સોલંકી જણાવ્યું હતું કે, ‘જૈન પરિવાર મુંબઇથી શંખેશ્વર જૈન તીર્થે રોકાઇને બીજા દિવસે જામનગરમાં લગ્ન પ્રસંગ જવાનું આયોજન હતું.
તમામ સભ્યો વારાફરથી ડ્રાઇવીંગ કરી કાર લઇને આવી રહ્યા હતા. વિરમગામથી પિનલબેન અશોકકુમાર કાર ચલાવતા હતા તેમની બાજુની સીટમાં તેમના પિતા અશોકભાઇ જૈન બેઠા હતા.
જ્યારે અકસ્માત થયો ત્યારે કારની એરબેગ ખુલ્લી જતાં આગળ બેઠેલા અશોકભાઇ અને પિનલબેન બચી ગયા હતા. જ્યારે વચ્ચેની સીટમાં બેઠેલા પ્રજ્ઞાબેન અને જયંતિભાઇ ઉછળીને આગળના ભાગે કાચ પર માથું અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું.’
મૃતકોના નામ
(1) પ્રજ્ઞાબેન અશોકભાઇ ગડા (જૈન)
(2) જયંતિભાઇ કેશવજી ડોઢીયા (જૈન)
ઇજાગ્રસ્તોના નામ
(1) જયકુમાર અશોકભાઇ ગડા (ઉં.વ.આ.20)
(2) પીનલબેન અશોકકુમાર ગડા (ઉં.વ.આ.22)
(3) અશોકકુમાર પેથરાજભાઇ ગડા (ઉં.વ.આ.45)
તમામ મુ. તા.ભીવંડી, (મહારાષ્ટ્ર)
From-Banaskantha update