ડીસાની નામદાર એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા રૂા.15,000નો દંડ ફટકારી મહત્વનો ચુકાદો આપ્યો છે. જ્યારે ફરીયાદી સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.
આ અંગેની વિગત જોઇએ તો, તા.31/05/2011ના બી.પી.એલ. લાભાર્થીને પ્લોટ ઉપર મકાન બનાવવા માટે ઇન્દિરા આવાસ યોજના હેઠળ કાગળો તૈયાર કરી ધાનેરા પંચાયત કચેરીમાં આપ્યા હતા. તે મુજબ તાલુકા પંચાયત કચેરીમાં મકાન સહાય માટે બીજા હપ્તાચનો ચેક લેવા માટે આરોપી નિતીન ડાહયાભાઇ ચૌહાણ, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત કચેરી, ધાનેરાએ ફરીયાદીને રૂા.21,000/-નો ચેક આપવા માટે રૂા.500/-ની માંગણી કરી હતી.
જ્યારે આ અંગે ફરીયાદીએ એ.સી.બી.ના અધિકારીઓને જાણ કરતાં એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવી આરોપીને પકડી લીધેલ હતો. જ્યારે આ કેસના તપાસ કરનાર અમલદારે આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા ડીસાની નામદાર એડીશનલ સેશન્સ કોર્ટમાં રજુ કર્યા હતાં અને આ કેસ ડીસાના મે.બી.જી.દવે સાહેબ, બીજા એડી.સેસન્સ જજ સમક્ષ ચાલી જતાં તેમજ સરકારી વકીલ નિલમબેન એસ.વકીલની લાંચીયા અધિકારીને સખ્ત સજા થાય તે માટે ભારપુર્વકની દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા મુજબ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા.15,000/- નો દંડનો હુકમ કર્યો હતો.
જોકે, ફરીયાદી વિરૂધ્ધ પણ નોટીસ કાઢી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. આમ કોર્ટે ભ્રષ્ટાચારના ગુનાથી દેશના અર્થ તંત્રને મોટુ નુકશાન થતુ હોઈ તેમજ ભ્રષ્ટાચારના ગુનાઓ રોકવા ઘણા જ જરૂરી હોઇ લાંચીયા અધિકારીને સખ્ત સજા કરી મહત્વનો ચુકાદો આપેલ છે.
From – Banaskantha Update