મહારાષ્ટ્રના વર્ધામાં સોમવારે રાત્રે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં મેડીકલના 7 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. મૃતકમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલેનો સમાવેશ થાય છે.
દુર્ઘટના સેલસુરા નજીક એક પુલ પર બની હતી. સાતેય વિદ્યાર્થીઓ જમીને પરત ફરી રહ્યા હતા. પુલ પર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર પુલના એક ભાગને તોડીને સીધી નદીમાં ખાબકી હતી.
આ અંગે વર્ધાના એસ.પી. પ્રશાંત હોલ્કરે જણાવ્યું હતું કે, ‘અકસ્માત અંગે સ્થાનિક લોકોએ મોડી રાત્રે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્કયુ હાથ ધર્યું હતું. તમામ મૃતકોની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે છે. તમામ મૃતકો સાંગવી મેઘે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા.
મરનાર તમામ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલમાં રોજ રાત્રે 10 વાગ્યે હાજરી પુરાય છે. આ લોકો હોસ્ટલેમાં ન હોવાથી પરિવારજનોને જાણ કરાઇ હતી.’ એક પરિવારના સભ્યે વોર્ડને જણાવ્યું હતું કે, ‘તેઓ જન્મદિવસની પાર્ટીમાં ગયા છે. મોડી રાત સુધી પરત ન આવતાં સિનિયર્સ પણ પરેશાન હતા. અંતે 7 વિદ્યાર્થીઓના મોતના સમાચાર મળ્યા હતા.’
મૃતકોના નામ
(1) આવિષ્કાર રહાંગડાલે
(2) નીરજ ચૌહાણ
(3) નિતેશસિંહ
(4) વિવેક નંદન
(5) પ્રત્યુષસિંહ
(6) શુભમ જયસ્વાલ
(7) પવન શક્તિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના સેલસુરા નજીક બનેલી દુર્ઘટનાથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પરિવારજનો સાથે છે. કેન્દ્રએ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય આપશે.’
એક દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં પૂણે-અહમદનગર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. એક બેકાબૂ ટ્રકે બે મોટર સાઇકલ અને એક કારને ટક્કર મારી હતી.
From-Banaskantha update