ડીસામાં આવેલ રીજમેન્ટ વિસ્તારમાં મહાદેવજીના મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી નાળીમાં ઉભરાતાં અહીં વસવાટ કરતાં 100 થી પણ વધુ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
જ્યારે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઇ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેથી આ વિસ્તારની મહીલાઓએ કંટાળીને નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.
દરેક શહેરનો વિકાસ તેની સુંદરતા અને વિકાસના આધારે હોય છે. ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપનું સાશન ચાલી રહ્યું છે અને તેમના સાશનમાં અત્યાર સુધી ડીસા શહેરમાં અનેક વિસ્તારના કામો પણ થયા છે અને હાલમાં ચાલુ પણ છે.
પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં આજે પણ લોકો ખરાબ રસ્તાઓ, ખરાબ ગટરો અને લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં આવેલ મહાદેવજીના મંદિરની નજીક 100 થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે. પરંતુ બાજુમાં આવેલી સોસાયટીનું ગંદુ પાણી ગટરો મારફતે આ વિસ્તારમાંથી પસાર થતાં આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો રહ્યા છે.
ખાસ કરીને ગટરના ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં લોકો રસોઇ બનાવી શકતાં નથી કે અહીંથી પસાર થઇ શકતાં નથી. જ્યારે એક બાજુ કોરોના વાયરસની મહામારીએ માથું ઉંચક્યું છે તો બીજી તરફ સતત આ વિસ્તારમાં ગંદકીના કારણે બીમારીનું પ્રમાણ વધવાનો ડર લોકોને સતાવી રહ્યો છે.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા સમસ્યાઓનું યોગ્ય નિકાલ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ આજદિન સુધી આ વિસ્તારમાં ગટર વ્યવસ્થા ન કરવામાં આવતાં આખરે આ વિસ્તારની મહીલાઓએ કંટાળીને નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.
જ્યારે તાત્કાલીક ધોરણે જો આ ગટરની નાળીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update