અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષિય યુવતી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાલનપુરના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે હાથ પર બ્લેડના ચેકા લગાવી યુવતીને ઇમોશનલ બ્લેકમેલ કરી નગ્ન તસવીરો મંગાવ્યા હતા.
બાદમાં બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું અને તે સમયે વિડીયો બનાવી ફરી બ્લેકમેઇલ કરી લગ્ન માટે ઘરેથી રૂ. 10,000 અને અસલ દસ્તાવેજો મંગાવી લીધા હતા. હીમાલયા મોલમાં આવેલી હીમાલયા ઇન હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં થરાદ અને ત્યાંથી રાજસ્થાન લઇ જઇ કોર્ટ મેરેજ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું.
મુસ્લિમ વિધી પ્રમાણે લગ્ન પણ કર્યાં હતા. આ અંગે પરિવારની ભારે જહેમત બાદ ફરિયાદ લેવાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ધર્માંતરણની કલમો, આઇ.ટી. એક્ટ અને પોક્સો હેઠળ ગુનો નોંધી એ.સી.પી. એ ડીવીઝને તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, નારણપુરા વિસ્તારમાં 18 વર્ષિય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ-2019 માં વિદ્યાર્થિની સગીર હતી. તે સમયે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાલનપુરના રીયાઝ રફીક મેમણના સંપર્કમાં આવી હતી.
તેને હીમાલયા મોલમાં મળવા બોલાવી અને તેને શારીરિક અડપલાં કર્યાં હતા. એટલું જ નહીં તેના સંપર્કમાં રહી નગ્ન ફોટાગ્રાફ મંગાવ્યા હતા. યુવતીએ ફોટા ન મોકલતાં રીયાઝે પોતાના હાથ પર બ્લેડના ચેકા લગાવી તેને ડરાવી હતી. જેથી યુવતી ડરી જતાં આખરે નગ્ન ફોટા મોકલી આપ્યા હતા. આ ફોટાના આધારે રીયાઝ તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.
દિવાળી દરમિયાન રીયાઝે યુવતીના પિતાની મિલ્કતની તપાસ કરી હતી અને લગ્ન કરવા માટે જણાવી રૂ. 10,00,000 મંગાવ્યા હતા. રૂપિયા લઇને નહી આવે તો ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં યુવતી પાસે રૂ. 2.50 લાખ લઇ ઘરેથી અસલ દસ્તાવેજ લઇ ભાગવા જણાવ્યું હતું.
પરંતુ રૂ. 10,000 અને દસ્તાવેજ સાથે યુવતી ભાગી હીમાલયા મોલમાં આવી હતી. તા. 11 ડિસેમ્બર-2021 ના રોજ હીમાલયા મોલમાં આવેલી હીમાલયા ઇન હોટેલમાં લઇ જઇ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો હતો.
યુવતીને બનાસકાંઠાના પાલનપુરના દૂધવા ગામમાં લઇ જઇ મિત્ર વિક્રમસિંહ રાજપૂતના ઘરે લઇ ગયો હતો. ત્યાંથી રાજસ્થાન કોર્ટમાં લઇ જઇ કોર્ટ મેરેજ કર્યાં હતા. બાદમાં મૌલવીને બોલાવી ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું.
બાદમાં મુસ્લિમ ધર્મ પ્રમાણે લગ્ન કર્યાં હતા. ત્યાંથી દૂધવામાં યુવતીને પરત લાવ્યો હતો. આ સમયે યુવતીને ધમકી આપી હતી અને તેના માતા-પિતાને પણ મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, ધમકી, પોક્સો, આઇ.ટી. એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયકની કલમો હેઠળ ગુનો નોંધી એ.સી.પી.એ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ‘આરોપી રીયાઝના લગ્ન થઇ ગયા છે તેમ છતાં તેણે આ યુવતી સાથે બીજા લગ્ન કર્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.’
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક સપ્તાહથી આ કેસ પર તપાસ ચાલી રહી છે. તેમ છતાં આટલી મોડી ફરિયાદ લેતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઇ છે. તેવામાં આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો કોન્સ્ટેબલની ભૂમિકા સ્પષ્ટ થાય તેમ છે.
From-Banaskantha update