બનાસકાંઠા જીલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા ભરતીઓમાં કૌભાંડોને લઇ અને પેપર લીક થવાના મામલે બુધવારે જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવનાર સમયમાં યુવકો અને તેમના પરિવાર ચૂંટણીઓમાં મતદાન નહીં કરે તેવું જણાવ્યું હતું.
બનાસકાંઠા જીલ્લાના કેટલાંક વિદ્યાર્થીઓ ભરતી કૌભાંડ મામલે બુધવારે જીલ્લા પોલીસ વડા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતના વિકાસને વેગ આપવા પ્રમાણિક અને પારદર્શક વહીવટ પણ જરૂરી છે.
હમણાં લેવાયેલી મોટાભાગની સરકારી ભરતીમાં કૌભાંડ થયા છે. ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિ ચાલુ જ હતી અને હાલ પણ યથાવત છે. તા. 12/12/2021 ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કનું પણ પેપર ફૂટી ગયું એવી ચર્ચા સોશિયલ મીડીયામાં અને ન્યૂઝ ચેનલોમાં પર છે.’
જો લાગવગ અને રૂપિયાના જોરે નોકરી મળશે અને આમ ચાલ્યા કરશે તો સામાન્ય વિદ્યાર્થીઓ જે પોતાના સમય અને નાણાં ખર્ચે છે તેમનું શું થશે. અંતે અમે બધા વિદ્યાર્થીઓ એવું નક્કી કર્યું છે કે, ‘અમારા પ્રશ્નોના જવાબ મુખ્યમંત્રી સ્વયં આવી સંતોષ પૂર્ણ રીતે આપે ત્યારે અમે અને અમારા પરિવારજનો મતદાન કરીશું. આ મુજબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.’
From-Banaskantha update