બનાસકાંઠાના ડીસા પાસે ગધેડાને કતલખાને લઇ જવાતાં હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાડમેરથી અમદાવાદ તારાપુર ખાતે કતલખાને લઇ જવાતાં 40 ગધેડા જીવદયાપ્રેમીઓએ ડીસા નજીકથી બચાવી લીધા છે. તમામ ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.
ડીસામાં જીવદયાપ્રેમીઓને ગધેડા કતલખાને લઇ જવાતાં હોવાની જાણ થતાં હીમાલયભાઇ સહીતના કાર્યકરોએ બનાસકાંઠા પોલીસ કંટ્રોલમાં જાણ કરી ગાડીનો પીછો કરી ડીસાના ગૌરક્ષક કેતન લીમ્બાચીયા કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ શાહને જાણ કરી હતી.
જે બાદ ગાડીને ડીસા હિંગળાજ હોટલ પર રોકાવી હતી. ગાડીમાં અંદર ખીચોખીચ 40 ગધેડાઓ ભરેલા હતા. ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ટ્રક અને ગધેડા સહીત કુલ કિંમત રૂ. 5,60,000 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા શખ્સો
– અબ્દુલાખાન સાબુખાન સમોન
– અનવરભાઇ મારૂક કુભાર
– ન્યાલ ઇબ્રાઇમ કુભાર
– સેરાજદીન ગફૂરખા સમૌન
ઝડપાયેલા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને 40 ગધેડાને કાંટ પાંજરાપોળ લાવ્યા હતા. કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલે જણાવ્યું હતું કે, મોટાભાગે ગધેડાનો ઉપયોગ કામેચ્છા વધારવા તેના મીટનો ઉપયોગ થાય છે. હાલમાં રાજસ્થાનમાં ખેતરોમાં ગધેડાનું ચલણ ઓછું થતાં તેમનું માસ રૂ. 600 કિલો વેચાતું હોવાથી હવે ભેજાબાજ લોકો વધુ કમાઈ લેવા ગધેડા કતલખાને લઈ જાય છે.