પાલનપુરના મદદનીશ ટીડીઓ અમૃતભાઈ પરમાર ફંગસની 50 દિવસની સારવાર અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં લીધા બાદ મોતને ભેટ્યા છે. ફંગસ આગળ વધતું અટકે તે માટે પહેલા આંખ કાઢી દેવાઈ હતી. પછી હાર્ટ એટેક આવ્યો હતો. વધુ પડતા હાઈ ડોઝ વાળા ઇન્જેક્શનના લીધે કિડની પર અસર થઈ હતી અને કિડની ફેઈલ થઇ જતા તેમનું નિધન થયું હતું જેના પગલે ચિત્રોડા ગામમાં અને પાલનપુર તાલુકા પંચાયત વર્તુળમાં શોક વ્યાપી ગયો હતો.
તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમારે જણાવ્યું હતું કે “અમૃતભાઇ એ કોરોનાની બને લહેર વખતે ખૂબ ઉમદા સેવાઓ બજાવી હતી. બે મહિના પૂર્વે કોરોના સંક્રમિત થયા બાદ તેમને મ્યુકર માઇકોસીસ થયું હતું. અમદાવાદની હોસ્પિટલમાં ખર્ચાળ સારવાર રહી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મ્યુકરના હવે નવા દર્દીઓ મળવાના બંધ થયા છે, જિલ્લામાં 80 કેસ, પૈકી 21ના મોત થયા છે. જ્યારે 17ને રજા આપવામાં આવી છે. મૃતકોમાં સહુથી વધુ 16 કેસ વડગામ તાલુકાના જુદા જુદા ગામોના જેમાંથી 10ના મોત નિપજયા છે.
તાલુકા વાઈઝ કેસ જોઈએ તો અમીરગઢમાં બે કેસ આવ્યા હતા અને બંનેના મોત નિપજ્યા, ડીસામાં આઠ પૈકી એકનું મોત, ધાનેરામાં ચાર પૈકી એકનું મોત, કાંકરેજમાં સાત પૈકી બેના મોત, પાલનપુરમાં 25 પૈકી 2ના મોત, વડગામના 17 પૈકી 11ના મોત, લાખણી અને ભાભરના ના 3-3 પૈકી 1-1 ના મોત નિપજ્યા છે.
From – Banaskantha update