બનાસકાંઠા જિલ્લામાં 165 કરતાં વધુ ગૌશાળા પાંજરાપોળમાં 75,000 જેટલા ગૌવંશ સહિતના પશુઓ આશ્રિત છે અને આ તમામ સંસ્થાઓ દાનની આવક પર નિર્ભર છે જ્યારે કોરોના કાળમાં આ સંસ્થાઓને મળનાર દાનની આવક બંધ થઈ જતાં સંસ્થાઓ આર્થિક ભીડમાં આવી જતા સંસ્થાના સંચાલકો સરકારે સહાય માટે રજુઆત કરવાની શરૂ કરેલ પણ તેમને સરકાર તરફથી પ્રતિઉતરનાં મળતા બનાસકાંઠા જિલ્લા તેમજ પાટણ જિલ્લાના પ્રતિનિધિઓની ચિંતન બેઠક બોલાવવામાં આવી.
રવિવારના રોજ ચેકરા ખાતે ગૌશાળા પાંજરાપોળનાં સભ્યોની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કોરોના જેવા કપરા કાળામાં મનુષ્યનું જીવવું મુશ્કેલ બન્યું છે ત્યાં આ ગૌવંશ સહિતના મૂંગા પશુઓના જીવન નિર્વાહ કરવા ખુબજ મુશ્કેલ બન્યા છે અને જે સંસ્થાઓ દાન પર નિર્ભર હતી તેવી સંસ્થાઓમાં દાનની આવક બંધ જેવી છે જેના કારણે સંસ્થાઓ આર્થિક સંકડામણમાં છે.
દાન માટે તમામ પ્રયત્નો કરવા છતાં આ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યું છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2015 અને 2017ના પુરમાં ગૌશાળા પાંજરાપોળનો મોટું આર્થિક નુકશાન થયેલ ત્યાર બાદ 2019માં અછતની સ્થિતિનું નિર્માણ થયું અને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોનાનો કહેર આવી મુસીબતો ઉપરાઉપરી આવી તેમાં સંસ્થા ચલાવવી મુશ્કેલ હતી.
ત્યારે સંચાલકો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરી તો ક્યારેક આંદોલન પણ કર્યા અને જે-તે સમયે સહાય પણ કરી અને તે સહાયના આશરે સંસ્થાઓ આજદિન સુધી જીવીત છે પણ આ વખતે ફરી કોરોના કાળમાં સંસ્થાઓ આર્થિક ભીડમાં આવતા બીજો કોઈ વિકલ્પ ના દેખાતા ફરી એક વાર સરકારની સરણ માંગી રહી છે તેવી બેઠકમાં ચર્ચાઓ થઈ.
ચર્ચાઓના અંતમાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા અલગ અલગ કમીટી બનાવવામાં આવી જેમાં બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશનનાં મીડિયા પ્રવક્તા તરીકે કિશોરભાઈ દવે અને તેમના સહયોગી મીડિયા કોરડીનેટર તરીકે તરુણાભાઈ શેઠ અને જગદીશ સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી.
અન્ય ટિમ સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ સભ્યોની મુલાકત લઈ તેમને આવેદનપત્ર પાઠવી સંસ્થાની પરિસ્થિતિ અવગત કરાવશે અને આગામી સમયમાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીની મુલાકત પણ કરશે.
કિશોર દવે મીડિયા સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે સરકારના પ્રતિનિધિઓને અને સરકારમાં રજુઆત કરશું અને તેમ છતાં જો કોઈ પરિણામ નહિ મળે તો આખરે આંદોલનનો માર્ગ પણ જરૂર પડશે તો અપનાવશું.
બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશનની બેઠકમાં ફેડરેશનનાં પ્રમુખ ચિનુભાઈ શાહ, જેન્તીલાલ દોષી, બાલુભાઈ શાસ્ત્રી, તરુણભાઈ શેઠ, કિશોરભાઈ દવે, જગદીશ સોલંકી, મદનલાલ, પાટણ અને રાધનપુર પાંજરાપોળના પ્રતિનિધિઓ સહિત ચેકરા અને અન્ય ગૌશાળાનાં સંતો અને સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update