અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તત્કાલીન પ્રિન્સીપાલ સહિત 3 કર્મચારીઓને નાણાંકીય ઉચાપત માટે નોકરીમાંથી ડિસમીસ કરાયા છે. 3 કર્મચારીઓને રૂ. 2.18 કરોડની નાણાંકીય ઉચાપત કરી હતી. જેમાં બનાસકાંઠા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ વ્યવસ્થાપક કમિટીમાં નિર્ણય લેવાયો છે.
બેંકોમાં 6 બોગસ ખાતાં ખોલાવી ઉચાપત કરી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી સંચાલિત શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અંબાજીના સને. 2008-09ના નાણાંકીય વર્ષના હિસાબોનું ઓડીટ દેવસ્થાન ટ્રસ્ટના ચાર્ટડ એકાઉન્ટન્ટ એચ.પી.સિંધ એન્ડ કુાં. અમદાવાદ દ્વારા કરતાં ર્ડા. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એજયુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર પ્રકારની નાણાંકીય અનિયમિતતા જણાઈ આવેલ હતી. તથા કોલેજના હિસાબોનું સ્પે.ઓડીટ કરાવતાં કોલેજના યુ.જી.સી. તથા સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ તથા અન્ય પ્રકારે બેંકોમાં 6 બોગસ ખાતાં ખોલાવી રૂ. 2,18,56,000 ની નાણાંકીય ઉચાપત થયેલ જણાઈ આવેલ હતી.
ત્રણેય આક્ષેપિતો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી આ માટે ર્ડા. મોદનાથ વી. મિશ્રા તત્કાલિન પ્રિન્સીપાલ, દિનેશ એમ. ઉપાધ્યાય તત્કાલિન હેડકલાર્ક તથા બી.જે. તેરમા તત્કાલિન સિનીયર કારકુન જવાબદાર જણાતાં તેમની સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેઓને નોકરીમાંથી ફરજ મોકુફ કરવામાં આવ્યા હતાં.
આ ત્રણેય આક્ષેપિતો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને ખાતાકીય તપાસના અંતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યસ્થાને યોજાયેલ દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક કમિટીમાં લીધેલ નિર્ણય મુજબ તા. 11 મે 2021ના હુકમથી ર્ડા. મોદનાથ વી. મિશ્રા, દિનેશ એમ. ઉપાધ્યાય અને બી. જે. તેરમાને તેમની નોકરીમાંથી બરતરફી કરવામાં આવ્યાં છે અને તે હુકમની બજવણી પણ કરવામાં આવી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર અને નાયબ કલેકટર એસ. જે. ચાવડાએ જણાવ્યું.
From – Banaskantha Update