તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે કલેક્ટર આનંદ પટેલે પાલનપુર મુકામે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી વિવિધ કચેરીઓના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
તેમણે કહ્યું કે, તમામ નગરપાલિકા વિસ્તારમાં લગાવવામાં આવેલા હોર્ડીંગ્સ 24 કલાકમાં ઉતારી લેવા તથા યુ.જી.વી.સી.એસ.ની લાઇન નજીકના ઝાડ કટીંગ કરી લેવામાં આવે જેથી વીજ પુરવઠાને થતું નુકશાન અટકાવી શકાય.
કલેકટરએ વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તથા પોતાના વિસ્તારમાં અધિકારીઓ હાજર રહી એલર્ટ રહે અને સર્વે માટેની ટીમો તૈયાર રાખવા સહિતનું આયોજન કરવા જણાવ્યું હતું. પીવાના પાણી માટેની ટાંકી – સંપ ભરી રાખવા તથા પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાનો ઉભા કરવાની જરૂરીયાત જણાય તો સ્થાનિક અધિકારીઓ પાસે શાળાની ચાવી હાથવગી હોવી જોઇએ.
કલેકટરએ કહ્યું કે, કુદરતી આપત્તિની અટકાવી શકાતી નથી પરંતું પુરતી તૈયારી સાથે કરવામાં આવેલા આગોતરા આયોજનથી તેની અસરને ચોક્કસ ઓછી કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, વાવાઝોડામાં વીજ પુરવઠો ખોરવાય તો કોવિડની પરિસ્થિતિમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં પાવર બેક-અપની વ્યવસ્થા કરી રાખવી જરૂરી છે.
હોસ્પીટલોમાં ખાલી થયેલા ઓક્શિજનના તમામ સિલિન્ડરોને ભરાવી રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં આસી. કલેકટરશ્રી પ્રશાંત ઝીલોવા, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, યુ.જી.વી.સી.એલ.ના સુપ્રિ. એેન્જીનિયર એલ.એ.ગઢવી સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યાં હતાં.