ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં હાલ પ્રશ્નોતરીકાળમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અને અન્ય પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. આજે ગૃહમાં પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીય માછીમારો બંધ હોવાનો પ્રશ્ન ગુજરાત સરકારને પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ગુજરાત સરકારે ગૃહમાં જવાબ રજૂ કરતા આંકડા આપ્યા હતા.
જેમાં 31 જાન્યુઆરી 2021ની સ્થિતિએ ગુજરાતના 345 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 63 માછીમારો એક વર્ષથી અને 21 માછીમારો 3 વર્ષથી, જ્યારે 1 માછીમાર 5 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ છે. તેમને છોડાવવા માટે છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 17 રજુઆત મોકલી છે. માછીમારોની રાષ્ટ્રીયતાની ઓળખ અંગે ગૃહમંત્રાલયને વિગતો મોકલવામાં આવ્યાનો સરકારે ગૃહમાં દાવો કરાયો હતો.
અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી અવાર-નવાર ભારતીય બોટોના અપહરણ કરી જાય છે જેમાં સૌથી વધુ ફિશિંગ બોટો ગુજરાતના પોરબંદરની હોય છે તેથી અત્યાર સુધીમાં પાક દ્વારા અપહૃત કરાયેલી અબ્જો પિયાની 1130 જેટલી ફિશિંગ બોટોને તથા ત્યાંની જેલોમાં સબડતા 540 જેટલા માછીમારોને મુકત કરાવવા માટે તાત્કાલિક ભારત અને પાક. સરકારે ચર્ચા કરીને કાર્યવાહી કરવી જોઇએ તેવી ભલામણ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વડાપ્રધાનને કરી છે.
કોરોનાના લોકડાઉનની અન્ય ઉદ્યોગોને અસર થઇ હતી તેવી જ ગંભીર અસર માછીમારી ઉદ્યોગને થઇ છે અને લોકડાઉનને લીધે તમામ વેપાર-ઉદ્યોગો ચોપટ થઇ ગયા હતા. તેની અસર માછીમારોને પણ થઇ હતી અને લોકડાઉનને લીધે પોરબંદર સહિત ગુજરાતના માછીમાર ઉદ્યોગને પણ ભયંકર નુકશાન પહોંચ્યું છે.
From – Banaskantha Update