દુનિયામાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. બ્રાઝિલની સ્થિતિ અત્યંત ખરાબ ચાલી રહી છે. અમેરિકા પછી બ્રાઝિલમાં સૌથી વધારે કેસ અને મૃતાંક જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં 3000થી વધુ લોકોનાં મોત થયાનું સામે આવ્યા બાદ સ્થિતિ વધારે કફોડી થઈ ગઈ હતી. અહીંયા 24 કલાકમાં 3125 લોકોને વાઈરસ ભરખી ગયો હતો.
બીજી તરફ અહીંયા સંક્રમણના કેસ પણ સતત વધી રહ્યા છે. અહીંયા આ આંકડો પણ રોજિંદા ધોરણે 50000ની ઉપર જઈ રહ્યો છે. અહીંયા હોસ્પિટલોમાં આઈસીયુ બેડ અને ઓક્સિજનના ભંડાર ખાલી થઈ રહ્યા છે. સરકારી, ખાનગી તમામ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. બીજી તરફ વિશ્વમાં પણ સંક્રમણના કેસમાં તો વધારો જ જોવાઈ રહ્યો છે. દુનિયામાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોનો કુલ આંકડો 12.49 કરોડ પહોંચી ગયો છે. બીજી તરફ કોરોનાના કારણે 27,48,807 લોકોનાં મોત થયા છે. તે સિવાય 10 કરોડ કરતા વધારે લોકો સાજા પણ થયા છે.
બ્રાઝિલની કફોડી સ્થિતિ માટે તેના રાષ્ટ્રપ્રમુખ બોલસોનારો સામે બેદરકારી દાખવવાના આરોપો મૂકવામાં આવ્યા છે. તેઓ મહામારીને ગંભીરતાથી લેતા જ નથી અને અર્થતંત્ર ચાલુ રહે તે માટે ઉદ્યોગ-ધંધા ધમધમતા રાખવા મથી રહ્યા છે. સ્થાનિક નેતાઓ દ્વારા સ્વાસ્થ્ય મુદ્દે લેવાયેલા પગલાંને પણ તેઓ વખોડી રહ્યા છે. તેઓ સતત એવું જ કહી રહ્યા છે કે, બ્રાઝિલમાં સ્થિતિ કાબુમાં છે અને ટૂંક સમયમાં આપણો દેશ સામાન્ય સ્થિતિમાં આવી જશે અને અર્થતંત્ર પણ ધમધમતું થઈ જશે.
કોલંબિયામાં પણ કોરોનાની સ્થિતિ વણસી ન જાય અને ત્રીજી લહેર શરૂ ન થાય તે માટે પહેલેથી જ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે. અહીંયા સરકાર દ્વારા આ શુક્રવાથી રવિવાર તથા 31 માર્ચથી 5 એપ્રિલ સુધી તમામ બજારોમાં મર્યાદિત સમયમાં અને મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવાના આદેશ કરી દેવાયા છે. તે ઉપરાંત મ્યુનિસિપાલિટી લેવલે નાઈટ કરફ્યૂના પણ આદેશ અપાઈ ગયા છે. તે ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રને પૂરતી તૈયારીઓ કરવા અને હોસ્પિટલોને સજ્જ રાખવાના પણ આદેશ કરી દેવાયા છે.
From – Banaskantha Update