બનાસકાંઠાના જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતરમાં સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગૂંગળામણથી કરૂણ મોત નિપજયું
બનાસકાંઠાના મોટા જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગૂંગળામણથી કરૂણ મોત નિપજયું હતું જ્યારે અન્ય ચાર લોકો અસરગ્રસ્ત થતાં સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે બનાવને પગલે શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાગિયાનું કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે આ બાયોગેસના કુવામાં ગઈકાલે સાંજે તેમનો પુત્ર આનંદ ચૌધરી ગત મોડીરાત્રે સફાઈ માટે ઉતર્યો હતો તે સમયે ગેસ ગળતર થતાં ગૂંગળામણના કારણે તેનું કૂવામાં જ મોત નીપજ્યું હતુ.

જોકે મોડે સુધી બહાર ન આવતા ભાગીયા તરીકે કામ કરતાં સુંધાજી ઠાકોર પણ કૂવામાં ઉતર્યા હતા પરંતુ તેમનું પણ ગૂંગળામણથી મોત થયું હતું. કલાકો સુધી આ બંને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને બચાવવા માટે કૂવામા ઉતર્યા હતા તેઓ પણ ગેસ ગળતરના કારણે 4 લોકો અસરગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યાં બંને મૃતકોની લાશને પી.એમ અર્થે ખસેડી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાને કારણે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા જ્યારે ખેતર માલિક અને ભાગીયાનું મોત થતાં તેમજ અન્ય ચાર લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.
From – Banaskantha Update