બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શીયા ગામેથી ત્રણ દિવસ અગાઉ ખેડબ્રહ્મા પોતાના પિયર જવા નીકળેલા માં અને પુત્રીનો દેહ સોમવારે ડીસા તાલુકાના સણથ ગામ નજીક ખેતરમાંથી મળી આવતાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી. જ્યાં બંનેના મોત ખેતરમાં મુકેલા ઝટકા મશીનના કરંટથી થયા હોવાનું અનુમાન લગાવી પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ હાથ ધરી છે.
કાંકરેજ તાલુકાના સિયા ગામના રતનભાઇ રબારીની પત્ની ગીતાબેન સરતનભાઇ રબારી (ઉ.વ. 41) અને તેમની પુત્રી મીનલબેન સરતનભાઇ રબારી (ઉ.વ. 15) ત્રણ દિવસ અગાઉ પિયર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને ત્રણ દિવસ બાદ ડીસા તાલુકાના સણથ ગામે અમરતભાઈ રબારીના ખેતરમાંથી માતા પુત્રીની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી જ્યાં તપાસ કરતાં માતા-પુત્રીના શરીર પર કરંટ લાગ્યા નિશાન મળ્યા હતા.
માતા- પુત્રી બંને પિયર જવા નીકળ્યા બાદ સણથ ગામે આવી પહોચ્યા હતા. જ્યાં અમરતભાઇ ભીખાભાઇ રબારીએ તેમના ખેતરમાં કરેલા બટાકાના વાવેતર ફરતે પાક રક્ષણ માટે લગાવેલા ઝાટકા મશીનના સંપર્કમાં આવી જતાં કરંટથી બંને માતા- પુત્રીના મોત નિપજ્યા છે. જેમના આધારકાર્ડના આધારે ઓળખ થઇ હતી. આ અંગે કાંકરેજ તાલુકાના શીયા ગામના મફાભાઇ રત્નાભાઇ રબારીએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ઝાટકા મશીન ગોઠવનારા અમરતભાઇ રબારી સામે સાપરાધ મનુષ્ય વધનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.: એ. બી. શાહ (પીએસઆઇ, ભીલડી)
ઉલ્લેખનીય છે કે ખેતરમાં પાકને ભૂંડ કે રોજડાથી બચાવવા માટે અનેક જગ્યાએ ઝટકા મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતોમાં પશુઓ અને નિર્દોષ લોકોના મોત થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે.
ત્યારે ગીતાબેન અને તેમની પુત્રી શા માટે ત્રણ દિવસ સુધી પિયર નહોતા પહોંચ્યા અને સણથ ગામના ખેતરમાં કઈ રીતે આવ્યા તે પણ એક સવાલ છે જેને લઇને પણ પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
From – Banaskantha Update