એક મજૂરનો આબાદ બચાવ : ઇજાગ્રસ્ત મજૂરને તાત્કાલીક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
ડીસા નજીક આવેલા રાજપુર-શેરગંજ વિસ્તારમાં બુધવારે ગટરના કામકાજ દરમિયાન માટી ઢળી પડતાં 3 મજૂરો દટાયા ચકચાર મચી ગઇ છે.
જેમાં એક મજૂરનો આબાદ બચાવ થયો હતો અને એક મજૂર ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે એક મજૂરનું મોત થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના રાજપુર નજીક શેરગંજ-ગાયકવાડ વિસ્તારમાં ગટરનું કામકાજ ચાલી રહ્યું હતું. ગટરના કામકાજ દરમિયાન અચાનક માટી ઢળી પડતાં મજૂરી કામ કરી રહેલા 3 મજૂરો દટાઇ ગયા હતા.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને માટીને હટાવી મજૂરોને બહાર કાઢ્યા હતા. જેમાં એક મજૂર પીરાભાઇ ઉર્ફે દિનેશભાઇ ઠાકોરનું કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય એક મજૂરનો આબાદ બચાવ થયો હતો. આ સિવાય અન્ય એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલીક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવને પગલે ડીસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update