બનાસકાંઠા જીલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્ર (ડી.ડી.આર.સી.) દ્વારા સોમવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સાંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં 242 દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં માન-સન્માન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા દિવ્યાંગ શબ્દ પ્રયોજવામાં આવે છે.
દિવ્યાંગ લોકોને તેમના લાભો સરળતાથી મળી શકે તે માટે આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર પાલનપુર સિવિલ હોસ્પિટલ ઉપરાંત હવે ડીસા સિવિલ હોસ્પિટલમાંથી પણ કાઢી આપવામાં આવે છે. જેના લીધે દિવ્યાંગ પ્રમાણપત્ર કઢાવવામાં સરળતા થઇ છે.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોના વિકાસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહીત અનેક યોજનાઓ અમલી બનાવી છે. જેમાં પણ દિવ્યાંગ લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ દિવ્યાંગ સહીત તમામ લોકો રૂ. 5 લાખ સુધીની કેશલેશ સારવાર ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે મેળવી શકે છે. સરકારી નોકરીમાં દિવ્યાંગો માટે 3 ટકા અનામત સહીતના અનેક લાભો આપી તેમના જીવનમાં ઉજાસ પથરાય તે માટે આ સરકાર સંકલ્પબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.’
દિવ્યાંગ બાળકોની સારસંભાળ રાખતાં માતા-પિતાને અભિનંદન પાઠવતાં સાંસદ પટેલે કહ્યું કે, ‘બહેરા-મૂંગા અને શારીરિક તેમજ માનસિક દિવ્યાંગ બાળકોનું પ્રેમપૂર્વક જતન કરી તેમને ઉછેરવાની જવાબદારી તમે સારી રીતે નિભાવી રહ્યા છો તેને બિરદાવી તમારી સેવાને સલામ કરૂ છું.’
આ અંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘દિવ્યાંગો સહીત સમાજના તમામ લોકોના કલ્યાણ માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. સિનિયર સિટીઝનો માટે વૃદ્ધ પેન્શન સહાય, વિધવા બહેનો માટે વિધવા સહાય,
ગરીબો માટે આવાસ યોજના, અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના કાર્યરત છે. તેવી જ રીતે દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે પણ સરકારે યોજનાઓ બનાવી છે. તેનો લાભ લઇ જીવનને સારી રીતે જીવીએ.
દરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ તો હોય જ છે. દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાની જીંદગી સરળતાથી જીવી શકે તે માટે તેમને મદદ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. દિવ્યાંગ વ્યક્તિઓમાં પણ અખૂટ શક્તિઓનો ભંડાર હોય છે તે શક્તિઓને ખીલવીને જીવનને આનંદમય બનાવીએ.’
From-Banaskantha update