દેશભરમાં જીવદયા પ્રેમી તરીકે જાણીતા ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા રવિવારે તેમના નિવાસસ્થાન રાજપુરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી રાજપુર (કાંટ) પાંજરાપોળ ખાતે પહોંચી હતી. જયાં જૈન સમાજ સહિત નગરજનોની ઉપસ્થિતિમાં ભરતભાઇ કોઠારીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ભરતભાઇ કોઠારીના પાર્થિવ દેહને રાજપુર સ્થિત તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જૈન સમાજના આગેવાનો સહિત નગરજનોએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાજપુર (કાંટ) પાજરાપોળના મુખ્ય સંચાલક ભરતભાઇ કોઠારી તેમજ જીવદયા કાર્યકર વિમલભાઇ બોથરા અને રાકેશભાઇ ધારીવાલને શનિવારે રાજસ્થાનમાં અકસ્માત નડતાં ત્રણેય જીવદયા કાર્યકરોના દુખદ અવસાન થયું હતું. જેથી શનિવારે રાકેશભાઇ ધારીવાલની રાજસ્થાન અને વિમલભાઇ બોથરાની ડીસા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જો કે, ભરતભાઇ કોઠારીના પરિવારના સભ્યો મુંબઇ હોવાથી તેમની અંતિમ યાત્રા રવિવારે કાઢવામા આવી હતી.
અંતિમ યાત્રા રાજપુરથી નિકળી મીરા મહોલ્લા, રીસાલા બજાર, દેનાબેક ચોક, ફુવારા, સરદાર બાગ, જલારામ મંદિર અને દિપક હોટલ ચાર રસ્તા થઇ અજાપુરા અને કાટ થઇ પાજરાપોળ પહોંચી હતી. ભરતભાઇ કોઠારીની અંતિમ યાત્રાને વિવિધ સંગઠનો અને નગરજનો દ્વારા પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
શહેરના મોટાભાગના વેપારીઓએ પણ જીવદયા પ્રેમીના માનમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતાં. ડીસા શહેર અને તાલુકા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાજરાપોળ ખાતે ભરતભાઇ કોઠારી ને તેમના પુત્ર અર્પિત કોઠારી અને દર્શન કોઠારી દ્વારા મુખાગ્ની આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ આગેવાનો એ ભરતભાઇ કોઠારી ની કામગીરીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રવિવારે ભરતભાઇ કોઠારીની નિકળેલી અંતિમ યાત્રામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઇ, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણ માળી સહિત આગેવાનો જોડાયા હતાં. જયારે સંસદ સભ્ય પરબત પટેલે પાંજરાપોળ પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાત-દિવસ અબોલ જીવો માટે કામ કરતાં ભરતભાઇ કોઠારી ઉપર 1997 બાદ પણ ત્રણ વખત કસાઇઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમ છતાં તેઓએ પીછે હઠ ન કરી લાખો જીવોને કતલખાને જતાં બચાવ્યા.