બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ખીમાણા શાખામાં જ્યાં છેલ્લા 30 વર્ષથી કાંકરેજ તાલુકાના રતનપુરાના નારણજી વાલાજી ઠાકોર (ઉ.વ.52) કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા. જોકે, બેંકના મેનેજરના ત્રાસથી નારણજીએ ગુરૂવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતુ.
આ અંગે મૃતકના પુત્ર સુરેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, તેમના પિતા મેટ્રીક પાસ હતા. છેલ્લા 35 વર્ષથી બનાસબેંકમાં ફરજ બજાવતાં હતા. ખિમાણામાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા. જોકે, બેંકનો મેનેજર સુધીર ઠક્કર તેમને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તેમ કહી અવાર-નવાર નોકરી બાબતે હેરાન કરતો હતો. આથી શુક્રવારે સાંજે રતનપુરા ગામે મકાનના રૂમમાં પંખે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. જેમની અંતિમ ક્રિયામાં કપડા બદલતી વખતે ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી. આ અંગે મારા પિતાને મરવા માટે મજબૂર કરનાર ખિમાણા બેંકના મેનેજર સુધીર ઠક્કર સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નારણજી ઠાકોરની અંતિમ ક્રિયા વખતે કપડા બદલતા ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. એમાં તેમણે લખ્યું હતું કે, હું બનાસ બેંક ખીમાણા શાખામાં નોકરી કરું છું. બનાસ બેંક ખીમાણા શાખાના મેનેજર મને હેરાન પરેશાન કરતા હોવાથી હું આપઘાત કરું છું. તો મેનેજરને કડકમાં કડક સજા કરવા વિનંતી. મેનેજરનું નામ સુધીર ઠક્કર છે.
બેંક મેનેજર સુધીર ઠક્કરની હેરાનગતિથી નારાણજી ઠાકોર છેલ્લા દોઢ માસથી નોકરીએ જતા ન હતા. આથી 2 દિવસ અગાઉ તેમના સાળા દિલીપજી જવાનજી ઠાકોર તેમને નોકરી પર મૂકવા ગયા હતા અને મેનેજરને રૂબરૂમાં મળી હેરાન નહીં કરવા માટે સમજાવ્યા હતા. નારણજી તે દિવસે નોકરીથી પરત આવ્યા પછી બીજા દિવસે નોકરી પર ગયા ન હતા. આથી પરિવારજનોએ પૂછતાં તેમણે કહ્યું હતું કે, ફરીથી મેનેજર હેરાન કરે છે અને એ જ સાંજે નારણજીએ ઘરે આપઘાત કરી લીધો હતો.
કાંકરેજની ખિમાણા બનાસ બેંકની શાખાના મેનેજર સામે શિહોરી પોલીસ મથકે દુષપ્રેરણનો ગુનો નોંધાયો છે. એ હાલ ફરાર હોઇ શોધવા માટે તપાસ હાથ ધરી છે. – બી.એલ. રાયજાદા (PSI, શિહોરી)
નારણજી ઠાકોરના પરિવારમાં તેમની પત્ની, બે દિકરા સુરેશજી અને ભરતજી છે. એક દીકરી દક્ષાબેનના લગ્ન થઈ ગયા છે. ગુરુવારે સુરેશજી તેમની સાસરીમાં ગયા હતા. ભરતજી રીક્ષા લઇ ધંધાર્થે ગયા હતા. તેમની માતા સદાસણ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઘરમાં એકાંત મળતા નારણજી ઠાકોરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
From – Banaskantha Update