ગ્રાહકની ફીક્સ ડીપોઝીટ રકમ 9 ટકા વ્યાજ અને રૂ. 2,500 ફરિયાદ ખર્ચ ચૂકવી આપવા હુકમ
એક સમયે ડીસામાં કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિમિટેડનો રાફડો ફાટ્યો હતો અને આ કો-ઓપરેટીવ સોસાયટીઓ ગ્રાહકોને મોટી મોટી રકમની લાલચો આપી અને ગ્રાહકો પાસેથી ફીક્સ ડીપોઝીટના નામે
નાણાં વસૂલ લે છે અને જ્યારે નાણાં પરત આપવાનો સમય આવે ત્યારે ગ્રાહકોના નાણાં પરત આપવામાં ગલ્લા-તલ્લા કરતી હોય છે.
ડીસાની શ્રી સમર્પણ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિમિટેડના સંચાલકોએ પણ ગ્રાહકોના નાણાં ન ચૂકવતાં ડીસાના એક ગ્રાહક રાકેશકુમાર ગોવિંદભાઇ સૈનીએ ગુજરાતની જાણીતી ગ્રાહક હીત રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાનો આશરો લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં રાકેશકુમાર ગોવિંદભાઇ સૈનીએ સગીર વૈશાલીકુમારીના નામે વર્ષ-2014 માં સમર્પણ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં રૂ. 10,000 ફીક્સ ડીપોઝીટ તરીકે મૂકયા હતા. જેની પાકતી મુદ્દત વર્ષ-2021 હતી.
ગ્રાહક જ્યારે મૂકેલા નાણાં પરત લેવા ગયા ત્યારે સોસાયટીના સંચાલકોએ ગ્રાહકને લેવાના થતાં નાણાં રૂ. 20,000 ચૂકવવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, હાલ મંડળી નુકશાનમાં ચાલે છે અને
મંડળીનું મકાન વેચવા માટે કાઢેલ છે તે વેચવાથી રૂપિયા આપવામાં આવશે તેમ જણાવી નાણાં ચૂકવવાથી સ્પષ્ટ ઇન્કાર કરતાં ગ્રાહકે ગુજરાત રાજ્યની જાણીતી ગ્રાહક હીત, હક્ક, રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવેને રૂબરૂ મળી પોતાની લેખિત ફરિયાદ આપી હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઇ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોરભાઇ દવેએ સોસાયટીના સંચાલકોને ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઇ મુજબ નોટીસ આપી ગ્રાહકને લેવાના થતાં નાણાં તાત્કાલીક ચૂકવી આપવા તાકીદ કરી હતી.
પરંતુ સોસાયટીના સંચાલકો જાણે જાડી ચામડીના હોઇ નોટીસની દરકાર ન લેતાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શ્રી સમર્પણ કો-ઓપરેટીવ પ્રેરિત સોસાયટી લિમિટેડની સામે બનાસકાંઠાની જીલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ નં. 60/2022 થી ફરિયાદ દાખલ કરાઇ હતી.
દાખલ થયેલ ફરિયાદ અને રજૂ થયેલ વિગતોને ગ્રાહક અદાલતે ગંભીરતાથી લઇ ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી. પંચાલ (પ્રમુખ) અને બી.જે. આચાર્ય (સભ્ય) ની જ્યુરીએ શ્રી સમર્પણ ક્રેડીટ કો-ઓપરેટીવ
સોસાયટીના સંચાલકોની ઝાટકણી કરી ગ્રાહકને લેવાના થતાં કાયદેસરના નાણાં રૂ. 20,000 અંકે રૂપિયા વીસ હજાર ઉપરાંત 9 ટકા વ્યાજ અને માનસિક ત્રાસના રૂ. 1,500 તેમજ ખર્ચના રૂ. 1,000 મળી રૂ. 2,500 ગ્રાહકને ચૂકવી આપવા હુકમ ફરમાવ્યો છે.
આ અંગે ચૂકાદા સંદર્ભે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવે જણાવ્યું હતું કે, ‘ગ્રાહકોની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ તે હર હંમેશ ગ્રાહકોની પડખે છે અને ગ્રાહકોને ન્યાય આપવા માટે હર સંભવ મદદ કરવા તૈયાર છે.
પરંતુ તેના માટે ગ્રાહકોને પણ જાગૃત થવાની જરૂર છે અને થયેલ અન્યાય માટે આગળ આવી ફરિયાદ કરવાની તકેદારી ગ્રાહકને રાખવી પડશે. ગ્રાહક ફરિયાદ કરશે તો અમે તેમને ન્યાય અપાવવામાં મદદ અવશ્ય કરીશું.
આ ઉપરાંત કિશોર દવેએ આહ્વાન પણ કર્યું છે કે, શ્રી સમર્પણ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. એ જે પણ ગ્રાહકોના નાણાં પરત નથી આપ્યા તેવા ગ્રાહકોએ આગળ આવીને ફરિયાદ કરવી જોઇએ.
સંસ્થાના દરવાજા પીડીત ગ્રાહકો માટે હંમેશા ખુલ્લા રહેશે. ગ્રાહક મંડળો, સરકાર અને ગ્રાહક અદાલત હંમેશા ગ્રાહકોના હીત માટે સક્રીય છે.’
From-Banaskantha update