ચોમાસુ સીઝનમાં વાવધરા ગામ સંપર્ક વિહોણું થઇ જાય છે : પ્રશ્નો અમારા જેમના તેમ, નેતાઓના વચનો પર વિશ્વાસ કેમ મૂકવો, ચૂંટાયા બાદ નેતાઓ વાયદા ભૂલી જાય છે
દાંતીવાડાના છેવાડાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ડેરી અને વાવધરાના લોકોની વર્ષોથી તેમની સમસ્યા જેમની તેમ છે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા છે.
ગામતળ અને આરોગ્યની. ચોમાસુ સીઝન હોય ત્યારે વાવધરા ગામ સંપર્ક વિહોણું થઇ જાય છે. આ સમયે આરોગ્યની લગતી સમસ્યા હોય તો ખૂબ મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે.
આજુબાજુનો વિસ્તાર જંગલ વિસ્તાર છે. જેથી એક વાવધરા ગામમાંથી પસાર થતી નદી ઉપર પુલ બનાવવામાં આવે અને બીજી માંગ બંને ડેરી અને વાવધરામાં ગામતળ મંજૂર કરી પ્લોટની ફાળવણી કરવામાં આવે.
2017 થી આ બંને ગામોના મતદારો આરોગ્ય અને હડમતીયા ડેમની નદી ઉપર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. જે છેલ્લા 5 વર્ષથી ભાજપ કોંગ્રેસના નેતાઓના વચનો સાંભળી તંગ આવી ગયા છે.
જીતેલા ઉમેદવાર જીત્યા બાદ ફરકતાં પણ ન હોવાથી સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળે છે. હડમતીયા ડેમમાં ભળતી નદી વાવધરા ગામથી પસાર થતી હોવાથી ચોમાસાની સીઝનમાં આ નદી 2 કાંઠે વહે છે.
જેથી વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ જાય છે. કોઇ બીમાર થાય તો આરોગ્યની સેવા મળતી નથી અને દર્દીઓનો જીવ જોખમમાં મૂકાઇ જાય છે.
દાંતીવાડા તાલુકામાં આવતી ભીલાચલ ગ્રામ પંચાયતમાં 2 મોટી સમસ્યાઓ છે. જ્યાં સુખાકારીનો છેદ ઉડી ગયો છે. જ્યાં લોકોને નવા મકાન બનાવવા જમીન અને આરોગ્યની કોઇ સેવા પણ ઉપલબ્ધ નથી.
ગામ લોકોએ આ 2 સમસ્યાઓ માટે તાલુકા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆતો કરી હતી. જેમાં આજ દિન સુધી માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા છે. હવે અમને વચનો પર કોઇ વિશ્વાસ નથી.
From-Banaskantha update