પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીની આવકથી ઉભરાયું

- Advertisement -
Share

રોજની 40,000 થી 50,000 બોરીની આવક આવી રહી છે : સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ રૂ. 1,170 નક્કી કરાયો જે બજાર કરતાં નીચો : 9 દિવસ દરમિયાન 2.64 લાખ જ્યારે સિઝનમાં મગફળીની 5.60 લાખ બોરીની આવક : ભાવ પ્રતિ મણ રૂ. 1,200 થી 1,500 પડયા

બનાસકાંઠા જીલ્લામાં માફકસર વરસાદને લઇ મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઇ પાલનપુરનું માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાવા લાગ્યું છે.

સિઝનમાં અત્યાર સુધીમા 5.60 લાખ ઉપરાંતની બોરીની આવક નોંધાઇ છે અને હાલમાં પણ રોજની 40,000 થી 50,000 બોરીની આવક ચાલુ છે.

 

સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ રૂ. 1,170 નક્કી કરાયો છે. જ્યારે બનાસકાંઠા જીલ્લાના માર્કેટયાર્ડમાં મગફળીના રૂ. 1,200 થી 1,500 ભાવ મળી રહ્યા છે.

 

જીલ્લામાં ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ પડવાથી મગફળીના પાકનું વિપુલ માત્રામાં ઉત્પાદન થવા પામ્યુ હોઇ ખેડૂતોએ મગફળીના પાક સરકારી ટેકાના નીચા ભાવ મેળવવાના બદલે બજારમાં ચાલતાં ઉંચા દામ મેળવવા માટે પોતાનો મગફળીનો પાક હોંશેહોંશે માર્કેટયાર્ડમાં ભરાવી ઉંચા ભાવ મેળવી રહ્યા છે.

 

જેને લઇ પાલનપુર માર્કેટયાર્ડમાં સિઝનમાં અત્યાર સુધીમાં 5.6 લાખ ઉપરાંતની મગફળીના પાકની બોરીઓની જંગી આવક થઇ છે.
અને ખેડૂતો રોજે રોજ ઉંચા ભાવ મેળવવા પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીનો પાક ભરાવવા ઉમટી પડતાં માર્કેટયાર્ડ પણ મગફળીથી ઉભરાવા લાગ્યું છે. જેને લઇ વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

આ અંગે માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘મગફળીની ખેતરમાંથી બહાર કાઢવાની શરૂઆત સપ્ટેમ્બર માસમાં થઇ હતી. ત્યારથી જ માર્કેટયાર્ડમાં મગફળી ઠલવાઇ રહી છે.
સપ્ટેમ્બરમાં 79,450, ઓક્ટોબરમાં 2,14,411 અને નવેમ્બરના 9 દિવસમાં જ 2,66,800 બોરીની જંગી આવક થઇ છે. આમ 3 માસમાં 5,60,661 બોરીની આવક થઇ છે.’
સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મગફળીના દાણા કાઢવાની 48 થી વધુ ફેક્ટરી આવેલી છે પરંતુ એકલા પાલનપુરમાં જ 25 ફેક્ટરીઓ આવેલી છે.
જે મગફળીમાંથી દાણા કાઢવાની કામગીરી કરે છે. મગફળીના દાણા નીકળ્યા બાદ તેના વેસ્ટ ફોતરા પણ પશુ દાણમાં વપરાય છે અને તેનું પણ મોટું માર્કેટ પાલનપુરમાં છે.

 

આ અંગે પાલનપુર માર્કેટયાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, ‘હાલ માર્કેટમાં જૂદી-જૂદી 6 પ્રકારની મગફળી આવી રહી છે. જેમાં G2 અને G24 મગફળીના સૌથી ઉંચા ભાવો રૂ. 1,400 થી 1,550 મળી રહ્યા છે.
જ્યારે G20,G32,G37 અને G10 ના રૂ. 1,250 થી 1,350 ના ભાવ મળી રહ્યા છે. સૌથી મોટો દાણો G20 ક્વોલીટીનો છે. જેમાંથી સૌથી વધારે તેલ નીકળે છે. આ ઉપરાંત G32 માંથી પણ સૌથી વધુ તેલ નીકળે છે.’
પાલનપુર તાલુકાના ગામો ઉપરાંત દાંતા, વડગામ, સતલાસણા, ખેરાલુ, સિધ્ધપુર, અમીરગઢ અને દાંતીવાડાના ખેડૂતો પણ પાલનપુર માર્કેટયાર્ડ આવે છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!