થરાદની ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેર તથા રામપુરા માઇનોર કેનાલનું પાણી ચાલુ કરવા બુધવારે ખેડૂતો બહોળી સંખ્યામાં નર્મદા નિગમની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં કેનાલને લઇને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝનની શરૂઆત થતાં પાણી ન મળતાં બુધવારે ખેડૂતો નર્મદા નિગમની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેરમાં અને રામપુરા કેનાલનું પાણી ચાલુ કરવામાં આવે એવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. ગડસીસર શાખામાં આઠ-નવ પાવડી પાણી ભરાય તો પાણી ચડે તેમ છે. આથી રવિ સિઝનનું પીયત થાય તે માટે પાણી તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.’
ઠાકરશીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે ખેડૂતોને 1 નવેમ્બર- 2022નો ખેડૂતોને વાયદો કર્યો હતો. તે આજ સુધી પાણી આપ્યું નથી. જેથી ખેડૂતોની રાયડાની સિઝન ફેલ થયેલ છે. ત્યારે હવે પાણી આપવામાં આવે તો જ ખેડૂતોએ વાવેતર કરેલ એરંડા જેવા પાક બચી શકે તેમ છે. તેવી રજૂઆત કરી હતી.’
થરાદના જમડા નજીકની ઇઢાટાના ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાઇપલાઇન બ્લોક થતાં સાત જેટલા ગામોના ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાવા પામ્યાં છે. આથી જમડા, લેડાઉ, ભાચર, ઇઢાટા, લોરવાડા, પ્રતાપપુરા, ઢીમા સહિત ગામોના ખેડૂતોને નર્મદા અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીનું સંકટ સર્જાયું હોવાનું ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.
From – Banaskantha Update