વિપુલ ચૌધરીને મુક્ત નહી કરાય તો ચૂંટણીમાં ભારતના સાડા તેર કરોડ ચૌધરીઓ જવાબ આપશે
બનાસકાંઠાના ડીસામાં આજે અર્બુદા સેના દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા અંતિમ શક્તિ પ્રદર્શનરૂપી સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આગામી ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને મુક્ત કરવાની એક સાથે માંગ સાથે સભામાં કોંગ્રેસના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ ભાજપ વિરોધી મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા હતા.
વિપુલભાઈની ગેરહાજરીમાં ખુરશી પર પાઘડી મૂકીને પ્રતિક હાજરી દર્શાવી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા રાજકીય ગરમી તેની સર જમીન પર પહોંચી ગઈ છે. આ રાજકીય ગરમી વચ્ચે અર્બુદા સેના અલગ અલગ જગ્યા પર સંમેલન યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના પેછડાલ ગામમાં અર્બુદા સેના દ્વારા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા અંતિમ સંમેલન યોજાયું હતું. આ સંમેલનની શરૂઆત બાઈક રેલીથી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. પમરું ગામથી નીકળેલી આ રેલી સભાસ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ યોજાઈ રહેલા સંમેલનમાં વિપુલભાઈની ગેરહાજરીમાં ખુરશી પર પાઘડી મૂકીને પ્રતિક હાજરી દર્શાવી હતી. ત્યારબાદ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી.
ભાજપ વિરોધી મતદાન કરવા સંકલ્પ લેવડાવાયા
સભાના આયોજક અને અર્બુદા સેનાના પ્રદેશ પ્રચારક હરજીત ચૌધરી દ્વારા વર્તમાન ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરાંત સરકાર દ્વારા જો તાત્કાલિક અસરથી વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહી આવે તો આગામી 2022ની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આગામી સમયમાં દેશભરમાં વસતા સાડા તેર કરોડ ચૌધરી મતદારો લોકસભાની ચૂંટણીમાં જવાબ આપશે. વિપુલ ચૌધરીની અટકાયત બાદ આક્રમક બનેલી અર્બુદા સેનામાં વર્તમાન સમયમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. અને તેના જ પરિણામ સ્વરૂપે આજે પેછડાલ ગામમાં અર્બુદા સેનાના દ્વારા યોજાયેલા સંમેલનમાં વિશાલ સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં મહિલા અને વૃદ્ધોની સાથે શિક્ષિત યુવતીઓ પણ જોડાઈ હતી અને તમામ લોકો માત્રને માત્ર વિપુલ ચૌધરીને મુક્ત કરવાની જ વાત કરી હતી.