રાજકોટ પોલીસને જાણ કરાતાં એક અપહરણકારની ઇનોવા કાર જપ્ત કરાઇ : અપહૃત મોટા માતાને ગઢકામાં છૂપાવાયા હોવાની શંકાએ એક ટીમ ત્યાં દોડી ગઇ
કાંકરેજના થરા રાજઘરાના પરિવારના 90 વર્ષિય મોટા માતાનું જમીનના વિવાદમાં તેમના પિયરપક્ષ રાજકોટના ગઢકાના 4 શખ્સોએ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છૂપાવી દેતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે બીજી પત્નીના પુત્રએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં 4 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતાં પોલીસ કમિશનરના આદેશથી યુનિવર્સિટી પોલીસે એક અપહરણકારની ઘરે દરોડો પાડી ઇનોવા કાર જપ્ત કરી હતી. જોકે, આરોપી મળી આવ્યો ન હતો.
અપહૃત મોટા માતાને ગઢકા છૂપાવાયા હોવાની શંકાના આધારે પોલીસની એક ટીમ ગઢકા દોડી ગઇ હતી. કાંકરેજના થરામાં રહેતાં રાજઘરાનાના રસીકકુંવરબા (ઉં.વ. આ. 90) ના પિયર રાજકોટના ગઢકા
ગામમાં તેમના પિતા લગધીરસિંહના વારસાની 42 એકર જમીન આવેલી છે. આ જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. તે દરમિયાન રસીકકુંવરબા તા. 7 ઓક્ટોબરે થરા તેમના નિવાસસ્થાને પરિવાર સાથે હતા.
ત્યારે ઇનોવા નં. GJ-03-4032 માં આવેલા ગઢકાના ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને લોધિકા તાલુકાના પારડીના
રાજભા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રસીકકુંવરબાનું અપહરણ કર્યું હતું અને અજ્ઞાત સ્થળે છૂપાવી દીધા હતા. આ અંગે બીજી પત્નીના પુત્ર ભગીરથસિંહ મંગળસિંહ વાઘેલાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય શખ્સો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
થરા દરબારગઢના મંગળસિંહ વાઘેલાના પ્રથમ લગ્ન ગઢકાના લગધીરસિંહ જાડેજાની દીકરી રસીકકુંવરબા સાથે થયા હતા. જોકે, તેમને સંતાન ન થતાં બીજા લગ્ન કાંકરેજના કસરા ગામમાં
સુરેન્દ્રસિંહ ફતેસિંહ ગોહીલના ઘરે કર્યાં હતા. બીજી પત્ની થકી તેમને 5 સંતાન છે. જે પૈકી ભગીરથસિંહ વાઘેલાએ મોટા માતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મોટા માતાનું અપહરણ થયું હોવાની જાણ થતાં ભગીરથસિંહ વાઘેલા અને તેમના ભાઇ વીરભદ્રસિંહ રાજકોટમાં ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજાના ઘરે ગયા હતા. જોકે, ત્યાં કોઇ હાજર ન હતું અને ઘરે તાળા હતા. ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
From-Banaskantha update