ધારાસભ્યે પણ પાણી બાબતે ગામની મુલાકાત ન લેતાં લોકોમાં રોષ
વાવ તાલુકાના છેવાડે આવેલા લોદ્રાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. રહીશોને પૂરતું પાણી મળતું નથી. જેને લઇ લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે અને પાણી નહી તો વોટ નહીની ચિમકી ઉચ્ચારી છે.
વાવના છેવાડે આવેલ અંદાજે 2,000 ની વસ્તી ધરાવતા લોદ્રાણી ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી આવતું નથી. જેને લઇ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.
મહીલાઓને દૂરદૂર પાણી લેવા જવું પડે છે. અગાઉ પંચાયતના લેટરપેડ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવા છતાં પાણીનો પશ્ન હલ થયો નથી.
જેને લઇ સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને પાણી નહી તો આવનારી ચૂંટણીમાં વોટ નહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આ અંગે લોદ્રાણી ગામના રહીશ વરજાગભાઇ રબારીએ જણાવ્યું હતું કે ‘અમારા ગામમાં પીવાનું પાણી આવતું નથી. સ્થાનિક ધારાસભ્યને ખબર હોવા છતાં મુલાકાત લીધી નથી.
ચૂંટણી આવે ત્યારે નેતાઓ હરવડીએ થાય છે પછી હરીઓમ શાંતિ. પાણી નહી મળે તો અમારા ગામમાં વોટ નહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.’
From-Banaskantha update