દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહીલાઓનો વેશ ધારણ કરી નોરતીયા બની હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે
નવરાત્રિ તહેવાર દરમિયાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ ગરબાના આયોજન થતાં હોય છે. જોકે, આ ગરબાઓમાં કોઇ પુરૂષો મહીલાના વેશમાં ગરબે ઘૂમતા હોય તેવું નહીં જ જોયુ હોય.
ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક ગામ એવું છે જ્યાં પુરુષો મહીલાઓનો પોષાક ધારણ કરી ગરબે ઘૂમે છે. આ ગરબામાં કોઇ મહીલાઓ ગરબે રમી શકતી નથી. મહીલાઓ ફક્ત બેસીને ગરબા નીહાળે છે.
નવરાત્રિના તહેવારની ઉજવણી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય લોકો ધામધૂમપૂર્વક કરતાં હોય છે. આ તહેવાર દરમિયાન ઠેર-ઠેર ડી.જે. અને ઓર્કેસ્ટ્રાના તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે.
પરંતુ બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામ કે જ્યાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ 151 વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે.
જેમાં નથી હોતું ડી.જે. કે નથી ઓરકેસ્ટ્રા. ગામના જ યુવાનો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહીલાઓનો વેશ ધારણ કરી નોરતીયા બની હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે.
આ નવરાત્રિમાં કોઇ મહીલા ગરબે ઘૂમતી નથી. મહીલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતાં જુએ છે. કહેવાય છે કે, 150 વર્ષ પહેલાં જલોત્રા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તે સમયે ગામમાં
મનુષ્ય સહીત ઢોર-ઢાંખર પણ રોગચાળામાં સપડાયા હતા અને ગામ પર મોટી આફત આવી ઉભી હતી. તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી હતી.
જોકે, તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહીલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘૂમે અને તે દિવસથી જ શરૂ થઇ આ અનોખી નવરાત્રિ.
આ નવરાત્રિને 151 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. આ આધુનિક યુગમાં 151 વર્ષ જૂની આ અનોખી નવરાત્રિ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ નવરાત્રિને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહી પણ દૂર-દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામમાં આવી રહ્યા છે.
From-Banaskantha update