માતાજીના આશિર્વાદ મેળવ્યા બાદ દેશના તમામ લોકોની સુખાકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ દેશ દુનિયામાં વિખ્યાત છે. ત્યારે માઁ અંબાના દર્શન કરવા હજારો કિલોમીટરથી માઇ ભક્તો માઁ અંબાના ગામમાં આવી પહોંચતા હોય છે. હાલમાં નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે.
ત્યારે ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઁ અંબાના ધામમાં આવી માઁના ચરણોમાં શિશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારે શનિવારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માઁ અંબાના ધામમાં આવી પહોંચ્યા હતા.
માઁ અંબાના નીજ મંદિર પહોંચી વસુંધરા રાજે શનિવારે વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો અને માતાજીની વિશેષ પૂજા-અર્ચના પણ કરી હતી.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચતા મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ માઁ અંબાના ચરણોમાં શિશ નમાવી વસુંધરા રાજે માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.
માઁ અંબાના દર્શન કર્યાં બાદ મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવની પણ પૂજા-અર્ચના કરી શિવલિંગ પર જળઅભિષેક કર્યો હતો.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માતાજીના આશિર્વાદ મેળવ્યા બાદ દેશના તમામ લોકોની સુખાકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી.