નડાબેટ પર એજન્સીએ નડેશ્વરી માતાજીના મંદિર જવાના રસ્તા પર બેરીકેટ મૂકી તમામ વાહનો અંદરથી જવાનો દૂરાગ્રહ રખાતાં શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂક્યો : બેરીકેટ મૂકી રસ્તામાં અવરોધ કરતાં વિવાદ : લલ્લુ એન્ડ સન્સ કંપની દ્વારા નડાબેટ આવતાં યાત્રિકો પાસેથી વધુ નાણાં લેવાતાં હોવાના આક્ષેપો
ભારત-પાકિસ્તાન સરહદ પરના નડાબેટ પર ખાનગી એજન્સીએ નડેશ્વરી માતાજીના મંદિર જવાના રસ્તા પર બેરીકેટ મૂકી રસ્તામાં અવરોધ કરતાં વિવાદ સર્જાયો છે.એસ.ટી. બસ સહીતના તમામ વાહનો ટી જંક્શન અંદરથી જવાનો આગ્રહ રખાતાં વિકેન્ડ પર શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.
અધૂરામાં પૂરું લલ્લુ એન્ડ સન્સ કંપની દ્વારા નડાબેટ આવતાં યાત્રિકો પાસેથી વધુ નાણાં લેવાતાં હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યાં છે. જો અલાયદો રસ્તો નહીં બનાવાય તો ટુરીઝમને તાળાબંધી કરવાની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે.
નડેશ્વરી માતાજીના મંદિર નજીક વાઘા બોર્ડરની જેમ નડાબેટ બોર્ડર પર રૂ. 200 કરોડના ખર્ચે વાઘા બોર્ડર જેવું મંદિરની આગળ મ્યુઝીયમ, થિયેટર સહીત સુશોભન સાથેનું ટી જંક્શન બનાવેલ છે જેનું 5 વર્ષનો
સંચાલન માટેનો કોન્ટ્રાક્ટર યુ.પી.ની લલ્લુ એન્ડ સન્સ કંપનીને આપવામાં આવ્યું છે. જોકે, કંપનીએ મંદિરમાં જતો અલાયદો રસ્તો બંધ કરી દેતાં હાલ માત્ર મંદિરના દર્શને આવતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો છે.
આ અંગે નડેશ્વરી ટેમ્પલ કમિટીના પ્રમુખ હરજીભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘માતાજીનો મુખ્ય રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કર્યો છે તે ચાલુ કરવું જોઇએ. ખરેખર નિયમ એવો હતો કે, જેને બોર્ડર જવું હોય તેને મુખ્ય રસ્તાની સાઇડમાં પાર્કીંગ બનાવેલ છે.
ત્યાં પોતાની ગાડીને પાર્ક કરીને કોન્ટ્રાક્ટરની બસમાં બોર્ડર જોવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટર બધાને માતાજીના મુખ્ય રસ્તા આગળ ટાયરો દ્વારા રસ્તો બંધ કરીને રાઉન્ડ મારીને પછી મંદિર બાજુ મોકલે છે. જેથી જેને બોર્ડર સુધી ન જવું હોય અને મંદિર આવવું હોય તેને પણ ફરજીયાત પાછળ મોકલે છે.
અડધો કલાકથી પોણો કલાક ટ્રાફીકમાં ફસાવવું પડે છે અને સમય બગડે છે. સરકારી બસોને પણ ફરજીયાત પાછળ જઇને ફરવું પડે છે. જેથી બસો પણ ટાઇમસર મંદિર પહોંચી શકતી નથી. પૂનમ અને રવિવારે ભીડ થાય છે.
તે માટે માતાજીનો મુખ્ય રસ્તો ખોલવામાં આવે અને જેને બોર્ડર જવું હોય તેને જ પાછળ ગાડી પાર્ક કરવામાં આવે જેને મંદિરે આવવું હોય તેને માતાજીના સીધે રસ્તેથી આવવા મળે માતાજીનો કાયમી મુખ્ય રસ્તો ખુલ્લો કરવામાં આવે.
આ મામલે મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીને નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટીઓએ લેખિત રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ટુરીઝમને તાળાબંધી કરવામાં આવશે.’
એજન્સી દ્વારા હાલમાં થિયેટરમાં 30 મિનિટનો શો બતાવતો નથી. પાણીના કુલરોની વ્યવસ્થા નથી. સ્થાનિક જરૂરિયાત મંદોને રોજગારી નહીં, મેડીકલ સુવિધા નથી.
10 બસ છે તે પૈકી 5 બસ ખરાબ હોવાના લીધે યાત્રિકોને પોતાની ગાડી લઇને બોર્ડર જવાની ફરજ પડે છે. 4 વાગ્યે બંધ કરવામાં આવે છે અને મ્યુઝીયમ વગેરે 5 થી 6 વાગ્યે બંધ કરવામાં આવે છે.
From-Banaskantha update