રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ગુરુવારે બનાસનદીમાં અચાનક પાણી આવતાં બન્ને કાંઠે વહેતી થઇ હતી. ત્યારે અમીરગઢના બાલુન્દ્રા નજીકના ગંગામૈયા મંદિરના મહંત બનાસ નદીના પ્રવાહમાં ફસાતાં ગ્રામજનો અને ડિઝાસ્ટર ટીમની મદદથી ખભા ઉપર બેસાડી નદીમાંથી બહાર કઢાયા હતા.
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામ નજીક બનાસ નદીના બ્રિજ નજીક આવેલ ગંગામૈયા મંદિરના મહંત મધુસુદનગિરીની ગુરુવારે અચાનક તબીયત બગડતાં તેઓ નદી પાર કરી ગામમાં આવતા હતા. ત્યારે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. આમ બનાસ નદીમાં અચાનક પાણી આવતાં મહંત નદીના પાણીનો પ્રવાહ વધારે હોવાથી નદીની અંદર ફસાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ બાલુન્દ્રા ગામના સરપંચ પ્રકાશ રાણાને થતા તેઓએ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અમીરગઢને જાણ કરવામાં આવી હતી. જોકે ઘટનાની જાણની ગંભીરતાથી લઈને તંત્રની ટીમ સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી મહંત મધુસુદનગિરીને ખભા પર બેસાડીને નદીની બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
From – Banaskantha Update