ગુજરાત કોંગ્રેસની સેવાદળની મહીલાઓ દ્વારા ગાંધીનગરમાં આપવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન પોલીસ દમન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત વિધાનસભામાંથી મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યે હંગામો મચાવીને વોકઆઉટ કર્યો હતો.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસની સેવાદળની મહીલાઓ સાથે પુરૂષ પોલીસે ખરાબ કૃત્ય કર્યું હતું. જેમાં મહીલાઓના ગુપ્તાંગ પર પણ માર માર્યો હતો.
આ મામલે સરકારે સંપૂર્ણ તપાસ કરીને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવા જોઇએ અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી પણ ગેનીબેન ઠાકોરે કરી હતી.’
પોલીસની મંજૂરીથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થવાના આરે હતો. ત્યારે પોલીસના અધિકારીઓએ ગૃહમંત્રીની રહેમ નજર હેઠળ કોંગ્રેસની મહીલાઓ સાથે મારામારી કરી હતી.
અમારા વિપક્ષના નેતાઓએ પણ વિનંતી કરી પરંતુ કોઇનું સાંભળ્યું નહીં. જ્યારે અમારી સેવાદળની મહીલાઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આજે વિશ્વ મહીલા દિવસે જ જો મહીલાઓ પર પોલીસ દ્વારા અત્યાચારો થતાં હોય.
ત્યારે અમે ગૃહમંત્રીને આ બાબત પર જવાબ આપવા માટે કહ્યું છે. હું એક મહીલા તરીકે ગૃહમંત્રી પાસે અપેક્ષા રાખું છું કે, જો તમારામાં મહીલાઓ માટે લાગણી હોય તો જે પોલીસે મહીલાઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે. તેઓને સસ્પેન્ડ કરો અને તેમના પર કાર્યવાહી કરો. સાથે જ આ બનાવ પર ગૃહમંત્રી વિધાનસભામાં માફી માંગે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ દ્વારા વિશ્વ મહીલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ બાદ મહીલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતાં પોલીસે મહીલાઓને અટકાવી હતી.
જેમાં પોલીસ અને મહીલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં 30 જેટલી મહીલાઓની અટકાયત કરાઇ હતી. ઘર્ષણમાં એક મહીલાને ઇજાઓ પણ પહોંચતાં સારવાર અર્થે ખસેડાઇ છે. હાલમાં આ અંગે કોંગ્રેસના નેતાઓ પણ એસ.પી. કચેરી પહોંચ્યા હતા.
કોંગ્રેસ મહીલા કાર્યકરો દ્વારા રાજ્યમાં મહીલાઓ પર થતાં ગેંગરેપ, દહેજ અને આત્મહત્યાના બનાવો સહીતના અનેક અત્યાચારો વિરૂધ્ધ વિધાનસભા ગૃહને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તે દરમિયાન પોલીસે મહીલા કાર્યકરોને અટકાવતાં મહીલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસ દ્વારા પ્રગતિ આહીર સહીતની સેવાદળની અન્ય મહીલા કાર્યકરોની અટકાયત કરાઇ હતી.
બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોને ગાંધીનગર એસ.પી. કચેરી અટકાયત કરીને લઇ જવાતાં અહીં પણ મહીલા કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.
પોલીસ સાથે ઘર્ષણ થતાં એક મહીલાને ઇજાઓ પણ પહોંચી હતી. જેને સારવાર અર્થે ખસેડાઇ હતી. ત્યારે હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા.
From-Banaskantha update