ડીસા પોલીસે આજે ડીસાના તમામ ડી.જે.સંચાલકો, બેન્ડ સંચાલકો અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકો સાથે બેઠક કરીને રાત્રિના દશ વાગ્યા બાદ લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવા તાકીદ કરી છે અને જો આ તાકીદનો કોઈ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ડીસા પોલીસ ધ્વનિ પ્રદૂષણને લઈ હવે ગંભીર બની છે અને રાત્રિ દરમ્યાન જો કોઈ સ્થળ પર લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હશે તો તેનો ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. પોલીસે આ કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા લાઉડસ્પીકરને લઈ આપવામાં આવેલી ગાઈડલાઇન આગળ કરી છે.
પોલીસે ડી.જે.સંચાલકો, બેન્ડના સંચાલકો, પાર્ટી પ્લોટના સંચાલકો અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકોને પોલીસ સ્ટેશન બોલાવીને આ બેઠક યોજી હતી અને પોલીસે ઉપસ્થિત તમામ સંચાલકોને સ્પષ્ટ આદેશ આપતા જણાવ્યુ છે કે, જો હવેથી રાત્રિના દશ વાગ્યા બાદ કોઈપણ સ્થળ પર લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હશે તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે આ કાર્યવાહીમાં ચોખવટ પૂર્વક જણાવ્યુ છે કે, લાઉડ સ્પીકરનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમોમાં પણ રાતના દશ વાગ્યા બાદ પ્રતિબંધિત રહેશે. રાત્રિના દશ વાગ્યા બાદ ઢોલ અને નગારાના ઉપયોગને પણ મર્યાદિત રીતે કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ રાત્રિના દશ વાગ્યા બાદ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. પરંતુ ભારતમાં હજુ પણ ધાર્મિક અને સામાજિક પ્રસંગો મોડી રાત સુધી ચાલતા હોય છે અને પોલીસે આપેલી સૂચના બાદ આગામી સમયમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ વધવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
From – Banaskantha Update