જયુપર જીલ્લાના શાહપુરામાં ભાબરૂ નજીક રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના 4 પોલીસ જવાન શહીદ થયા છે. જ્યારે 1 આરોપીનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ભાવનગર પોલીસના 4 જવાન હરિયાણાથી આરોપીને લઇને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જયપુર-દિલ્હી નેશનલ હાઇવે પર આ દુર્ઘટના ઘટી હતી.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 4 પોલીસ જવાન શહીદ થયાની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર પોલીસના 4 કર્મચારી શક્તિસિંહ ગોહીલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઇ આરોપીને ઝડપવા માટે હરીયાણા ગયા હતા.
હરીયાણાથી આરોપીને ઝડપીને ચારેય પોલીસ કર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસ કર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઇવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને 4 પોલીસ જવાન શહીદ થયા છે.અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો બચાવ કાર્ય કરવા માટે ઉભા રહ્યા હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરાઇ હતી.
જયપુર નજીક અકસ્માતમાં ભાવનગરના પોલીસ કર્મીઓના મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘દિલ્હીથી પરત આવી રહેલા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસ કર્મી અને 1 આરોપી સહીતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે. ઇશ્વર સદ્દગતના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ઇશ્વરને પ્રાર્થના.
જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ‘દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર ભાબરૂ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસ કર્મી સહીત 5 વ્યક્તિઓના મોતની જાણકારી મળી છે. શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.’
4 પોલીસ જવાન મૃતકોના નામ
(1) શક્તિસિંહ યુવરાજસિંહ ગોહીલ (ભીકડા)
(2) ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા
(3) ઇરફાનભાઇ આગવાન
(4) મનસુખભાઇ બાલધીયા
From-Banaskantha update