બનાસ ડેરી દ્વારા રૂ. 77 લાખના ખર્ચથી તૈયાર થયેલ ઓક્શિજન પ્લાન્ટમાં પ્રતિ કલાકે 50 ક્યુબીક મીટર ઓક્શિજન બનશે.
બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાલનપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડીકલ સ્ટાફને મળી તેમના ખબર-અંતર પુછી અભિવાદન કરી ઓક્શિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું.
બનાસ ડેરી દ્વારા રૂ. 77 લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્શિજન પ્લાન્ટમાં પ્રતિ કલાકે 50 ક્યુબીક મીટર ઓક્શિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે 7 જેટલાં જમ્બો ઓક્શિજન સિલિન્ડર ભરી શકાશે.
આમ 24 કલાકના 168 જેટલાં જમ્બો ઓક્શિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના 12.60 લાખ લીટર ઓક્શિજનનું ઉત્પાદન આ પ્લાન્ટ દ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે તેમ પાલનપુર સીવીલ સુપ્રિન્ટેન્ડેટ ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું હતું.