બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે, સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી પણ વધુ લોકોને બે મહિનામાં જ રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ધાર સાથે આરોગ્ય વિભાગે માઈક્રો પ્લાનિંગ કરી દીધું છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ અનેક લોકો કોરોનાના ભરડામાં હોમાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ અત્યારે કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્યની સુવિધાઓ તો વધારી જ રહ્યું છે.
સાથે સાથે આગામી બે મહિનાની અંદર રસીકરણની પ્રક્રિયા પણ પૂર્ણ કરી કોરોનાને કાયમી તિલાંજલિ આપવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ પણ ડીસામાં આવેલ રસીકરણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આરોગ્યની કામગીરીની સમીક્ષા કરી હતી.
આગામી 1લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત થશે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 16 લાખથી વધુ લોકો 18 વર્ષથી ઉપરના છે. તે તમામ લોકોને સહેલાઈથી રસી આપી શકાય તે માટે આરોગ્ય વિભાગના એક હજાર જેટલા કર્મચારીઓ 500 જેટલા રસીકરણ બુથ પર લોકોને રસી આપશે.
આમ એક બૂથ પર રોજના સો લોકોને રસી આપવામાં આવે તો 500 બુથ પર રોજના 50 હજાર લોકોને રસી આપી શકાય તો આ રસીકરણનો પ્રોગ્રામ બે મહિનામાં પૂર્ણ કરી શકાય તે માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરી દેવાયુ છે.
From – Banaskantha Update