ભારત સાથે દ્વિપક્ષીય વેપાર શરૂ કરવા પાકિસ્તાનની ઇકોનોમિક કાઉન્સિલે કરેલી ભલામણોને ઇમરાન ખાન સરકારે ફગાવી દેતાં બંને પ્રતિસ્પર્ધી દેશો વચ્ચે સંબંધો સુધરવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ભારતથી કપાસ અને ખાંડની આયાત કરવાની પરવાનગી આપવાના ઇકોનોમિક કાઉન્સિલના નિર્ણયને નકારી કઢાયો હતો.
કેબિનેટની બેઠક બાદ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશિદે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 પુનઃ લાગુ ન કરાય ત્યાં સુધી ભારત ખાતેથી આયાતને પરવાનગી નહીં અપાય. વિદેશમંત્રી શાહ માહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે, કેબિનેટે ભારતથી ખાંડ અને કપાસ આયાત કરવાના નિર્ણયને મોકુફ રાખ્યો છે જેથી આ મામલા પર વધુ ચર્ચા કરી શકાય. અત્યારે એવી છાપ ઊભી થઇ છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો સામાન્ય બની રહ્યાં છે અને વેપારનો માર્ગ મોકળો બન્યો છે. આ મામલા પર ચર્ચા કરાઇ છે અને સર્વસંમતિથી નક્કી કરાયું છે કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર માટે લીધેલા એકતરફી નિર્ણયની ભારત સમીક્ષા ન કરે ત્યાં સુધી સંબંધો સામાન્ય બને તેવી સંભાવના નથી.
અઝહરે કહ્યું કે દેશમાં ખાંડની અછત દૂર કરવા અને ભાવોને નિયંત્રણમાં લેવા ભારત પાસેથી ખાંડની આયાત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસેથી મંગાવવામાં આવનારી ખાંડ અન્ય દેશોને મુકાબલે રૂપિયા 15થી 20 સસ્તી છે. તેમણે તે સમયે તો એમ પણ કહ્યું હતું કે પાડોશી દેશ પાસેથી કપાસ મંગાવવાથી દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને લાભ થશે.
From – Banaskantha Update