બનાસકાંઠા જિલ્લાના આંતરીયાળ સરહદી ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉનાળાની ઋતુમાં અવાર નવાર જોવા મળતી હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની ગંભીર મહામારી વચ્ચે સૂઇગામ તાલુકાના કોરેટી ગામમાં છેલ્લા કેટલાક સમયથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. આ બાબતે અનેકવાર રજુઆતો કરવા છતા પણ પીવાનું ચોખ્ખું પાણી ગ્રામજનોને ન મળતાં ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન તેમજ વેન્ટિલેટર પણ લોકોને ન મળતાં સારવારના અભાવે લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં સાફસફાઈ અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી તેમજ ચોખ્ખો ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના આંતરીયાળ સૂઈગામ પંથકમાં આવેલા એક ગામમાં લોકો ગંદું પાણી પીવા મજબુર બન્યા છે. સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવતું હોઈ લોકોને પીવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાની રાવ ઉઠી છે. લોકોના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના વાઇરસ નામની ખતરનાક બીમારી ચાલી રહી છે તેમ છતા છેલ્લા એક મહિનાથી રજુઆતો કરવા છતાં પણ ગંદુ પાણી આવી રહ્યું છે.
આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓને પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પણ ગંદુ પાણી આવતું હોઈ લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં ગંદુ પાણી પીવાથી લોકો રોગચાળાનો ભોગ બને તેવી દહેશત વચ્ચે આ ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળે તેવી માંગ ઉઠવા પામી છે.
From – Banaskantha Update