ડીસાના જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી ખુલી જગ્યાની આસપાસ મોટા ભાગની ફેકટરીઓનો કચરો ફેંકવામાં આવી રહ્યો છે. જે ઝેરી કચરો અહીં આસપાસ ફરતી અનેક ગાયો આરોગી જાય છે. જેથી ગાયોના જીવ જોખમાય છે. શનિવારે આવો ઝેરી કચરો આરોગી જતા બે ગાયોના તરફડીને મોત નિપજ્યા હતા.
જ્યારે બે ગાયોને ગંભીર રીતે બીમાર પડતા તેને એસ.પી.સી.એ.ની એમ્બ્યુલન્સ મારફત શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જોકે ગાયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું . આ મામલે બાજુમાં જ ખેતર ધરાવતા સુરેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે અહીં અવાર નવાર આસ પાસમાં આવેલ જીઆઈડીસી વિસ્તારના ફેકટરી માલિકો દ્વારા અહીં ઝેરી કચરો નાખી દેવામાં આવે છે. જેને આ ગાયો આરોગતા તેઓ મૃત્યુ પામી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ઘટતાં પગલાં ભરાય તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ પણ ઉઠવા પામી છે.